નવી દિલ્હી: ચંદ્રયાન-2નાં લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધવાની સમયમર્યાદા સમાપ્ત થઇ રહી છે. આ દરમિયાન માહિતી મળી રહી છે કે NASAનાં મૂન ઓર્બિટરે ચંદ્રનાં તે ક્ષેત્રની તસવીરો મોકલી છે, જ્યાં પહોંચીને ચંદ્રયાન-2 સાથે ભારતનો સંપર્ક ખોરવાઇ ગયો હતો. ઇસરોનું કહેવું છે કે લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનને ચંદ્રની સપાટી પર પહોંચ્યા બાદ માત્ર 14 દિવસ સુધી કામ કરવાનું હતું અને તેનું આયુષ્ય ચંદ્રનાં એક દિવસ બરાબર હતું, જે ધરતી પર 14 દિવસ બરાબર છે.


નાસાનાં એક વૈજ્ઞાનિકનાં હવાલાથી આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નાસાએ ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પર પોતાનાં લૂનર રિકોન્સેસ ઓર્બિટર(LRO)ની મદદ વડે 17 સપ્ટેમ્બરે કેટલીક તસવીરો લીધી હતી. હાલમાં નાસા આ તસ્વીરોનું વિશ્લેષણ કરી રહ્યું છે. આ ક્ષેત્રમાં જ મિશન ચંદ્રયાન-2 હેઠળ વિક્રમ લેન્ડરની સોફ્ટ લેન્ડિંગ કરાવવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતાં, પરંતુ વિક્રમ લેન્ડ થાય તે પહેલા જ ઇસરોના સ્ટેશનથી સંપર્ક તૂટી ગયો હતો.

વૈજ્ઞાનિકો અનુસાર વિક્રમ સાથે સંપર્ક 21 સપ્ટેમ્બર સુધી સંપર્ક સાધવાની શક્યતા છે. ત્યારબાદ ચંદ્રનાં તે ભાગમાં અંધારું થઈ જશે. ત્યારબાદ લેન્ડર સાથે સંપર્ક સાંધવું મુશ્કેલ થઈ જશે.હાલ વિક્રમ લેન્ડર જ્યાં પડ્યું છે ત્યાં સાંજ છે. ઇસરો જલ્દી જ ચંદ્ર પરથી લીધેલી કેટલીક તસવીરો જાહેર કરી શકે છે.

લૂનર રિકોન્સેસ ઓર્બિટરનાં ડેપ્યુટી પ્રોજેક્ટ સાયન્ટીસ્ટ જોન કેલરે એક નિવેદન આપ્યું હતું કે ઓર્બિટરનાં કેમેરા વડે તસ્વીરો ખેંચવામાં આવી હતી. તેઓએ કહ્યું કે LROની ટીમ તે તસ્વીરોનું જૂની તસવીરો તસવીરો સાથે તુલના કરશે અને વિશ્લેષણ કરશે કે લેન્ડર દેખાઈ છે કે નઈ. આ તસ્વીરો ત્યારે લેવામાં આવી હતી જ્યારે ઓર્બિટર ચંદ્રના દક્ષિણ ધ્રુવથી પસાર થઈ રહ્યું હતું. તે વખતે ત્યાં અંધારુ થવાનું શરૂ થઈ ગયું હતું તેથી તસવીરો ધૂંધળી હશે.