ગાંધીનગરઃ અયોધ્યામાં રામમંદિરના શિલાન્યાસનો કાર્યક્રમ 5 ઓગસ્ટે યોજાવાનો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રામમંદિરનો શિલાન્યાસ થવાનો છે ત્યારે આ કાર્યક્રમ માટે દેશના કોઈ પણ ઉદ્યોગપતિ કે બિઝનેસમેનને નિમંત્રણ નથી અપાયું.


રામમંદિરનું નિર્માણ કરનારા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટે 200 મહેમાનોની યાદી બનાવી છે તેમાં એક પણ ઉધોગપતિ કે બિઝનેસમેન નથી. આ સ્પષ્ટતા ખુદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટે કરી છે. મીડિયામાં એવા અહેવાલ હતા કે, મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, રતન તાતા સહિતના દેશના ટોચના ઉદ્યોગપતિઓને આ કાર્યક્રમ માટે નિમંત્રણ અપાશે પણ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટે સ્પષ્ટતા કરી છે કે, આ વાત ખોટી છે અને કોઈ ઉદ્યોગપતિ કે બિઝનેસમેન હાજર નહીં રહે.

આ કાર્યક્રમ માટે તમામ ધર્મનાં વડાઓને નિમંત્રણ અપાયાં છે. મોદીની સાથે કેબિનેટ પ્રધાનોને નિમંત્રણ અપાયાં છે. અયોધ્યાના સાંસદ, મેયર વગેરે હોદ્દેદારોને પણ નિમંત્રણ અપાયું છે જ્યારે રામ જન્મભૂમિ વિવાદના પક્ષકાર એવા ઈકબાલ અંસારીને પણ નિમંત્રણ અપાયું છે. બાબા રામદેવ પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટે એવો પણ નિર્ણય લીધો છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સિવાય આ કાર્યક્રમ માટે દેશના બીજા કોઈ મુખ્યમંત્રીને નિમંત્રણ નહીં મળે. કોઈ એક મુખ્યમંત્રીને બોલાવાય તો તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને નિમંત્રણ મોકલવા પડે તેથી યોગી સિવાય કોઈ મુખ્યમંત્રીને નિમંત્રણ નહીં આપવાનો નિર્ણય લેવાયો છે.