નવી દિલ્લીઃ આજે બાબા રામદેવ દ્વારા કોરોના માટેની આર્યુવેદિક દવા દિવ્ય કોરોનિલ ટેબ્લેટ લોંચ કરવામાં આવી છે. આ દવાથી કોરોનાની સારવારનો દાવો કરવામાં આવ્યો છે. લોંચિંગ સમયે બાબા રામદેવ ઉપરાંત આચાર્ય બાલકૃષ્ણ તેમજ ટ્રાયલમાં સામેલ વૈજ્ઞાનિક, ડોક્ટર અને રિસર્ચર પણ હાજર રહ્યા હતા. પતંજલિ યોગપીઠ ફેઝ-2માં આ દવા લોંચ કરવામાં આવી છે.


બાબા રામદેવે જણાવ્યું હતું કે, પૂરો દેશ અને દુનિયા જે ક્ષણની રાહ જોઈ રહ્યો હતો કે, ક્યાંકથી તો કોરોનાથી દવા આવશે, તે સમય આવી ગયો છે. તેમણે જણાવ્યું હતું કે, કોરોનાની પહેલી આર્યુવેદિક દવા બનાવવામાં આવી છે. જે ક્લીનીકલી કંટ્રોલ્ડ ટ્રાયલ બેઝ્ડ, એવિડેન્સ રિસર્ચ બેઝ્ડ મેડિસિન પતંજલી રિસર્ચ સેન્ટર અને નીમ્સના સંયુક્તથી તૈયાર થઈ ગઈ છે.

તેમણે જણાવ્યું હતું કે, અમે બે ટ્રાયલ કર્યા એક કંટ્રોલ્ડ ક્લીનીકલ સ્ટડી. જે દિલ્લી, અમદાવાદ, મેરઠ સહિત અનેક શહેરોમાં કરવામાં આવી. આ સ્ટડીમાં 280 દર્દીઓ હતા. જેના પરિણામ અપ્રતિમ હતા. જેમાં 100 ટકા દર્દીઓની રિકવરી થઈ. બીજો તબક્કો હતો ક્લીનીકલ કંટ્રોલ ટ્રાયલ. જેના માટે પતંજલિ રિસર્ચ સેન્ટર અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ(નીમ્સ)ના સંયુક્ત પ્રયાસથી આ સંભવ થયું.