ખેડૂતો માટે રાહતના સમાચાર, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Oct 2019 10:12 PM (IST)
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત પરથી વરસાદી સિસ્ટમ હટી ગઈ છે. ડિપ્રેશન નબળું પડ્યું હોવાથી વરસાદની શક્યતા નહિંવત છે.
અમદાવાદ: ખેડૂતો માટે રાહતના સમાચાર છે. ગુજરાત પરથી વરસાદી સિસ્ટમ હટી જતાં હવે વરસાદ નહીં પડે તેવી સંભાવના છે. ડિપ્રેશન વેલ માર્ક લૉ પ્રેશરમાં પરિવર્તિત થઈ વરસાદ રાજસ્થાન તરફ ફંટાયો છે. જેથી ખેડૂતોને રાહત મળી છે. જો કે 24 કલાક વરસાદી માહોલ યથાવત રહશે. બીજી તરફ ખેડૂતોને પણ હવે ઓછું નુકસાન થશે. સમગ્ર રાજ્યમાં મેઘ કહેર થઈ છે અને લીલા દુષ્કાળ ની સ્થિતિ નિર્માણ થઈ છે જગતના તાત એવા ખેડૂતો માટે મુશ્કેલી સર્જાઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત પડી રહેલા વરસાદના કારણે ખરીફ પાકને મોટું નુકસાન થવા પામ્યું છે. જેના પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં સિઝનનો 140 ટકા વરસાદ ખાબક્યો છે. હાલ ગુજરાત પરથી વરસાદી સિસ્ટમ હટી ગઈ છે. ડિપ્રેશન નબળું પડ્યું હોવાથી વરસાદની શક્યતા નહિંવત છે. હાલ ડિપ્રેશન રાજસ્થાન તરફ ફંટાયું છે. અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા છે.