રાજકોટમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 30 કલાકમાં રાજકોટમાં 17 ઈંચ વરસાદ સત્તાવાર નોંધાયો છે. વરસાદના પગલે સાવચેતીના ભાગરૂપે શાળા-કોલેજો બંધ રાખવા જણાવામાં આવ્યું છે. રાજકોટમાં અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદની આગાહીના પગલે કારણ વગર બહાર ન નીકળવા પણ સૂચના આપી દેવામાં આવી છે. જ્યારે અત્યાર સુધીમાં 1000 લોકોનું સ્થળાંતર કરાયું છે.

રાજકોટમાં પડેલા ભારે વરસાદને પગલે તમામ જળાશયોમાં નવા નિરની આવક શરૂ થઈ ગઈ છે. ન્યારી-1 ડેમમાં 2.50 ફૂટ, આજી-1 ડેમમાં 1.80 ફૂટ, ભાદર ડેમમાં 1.50 ફૂટ નવા નિરની આવક થઈ છે. ન્યારી-2 ડેમ ઓવરફ્લો થતાં 10 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે. જ્યારે ન્યારી-2 ડેમમાંથી 21,230 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ન્યારી-2 ડેમમાં પાણી છોડવામાં આવતા આસપાસના 3 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

ન્યારી-1 અને ન્યારી-2 ડેમના નીચાણવાળા 16 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ન્યારી-2 હેઠળ આવતાં ગોકલપુર, રંગપર, તરઘડી, વિરપુર, પટી-રામપર, બોડી-ઘોડી, પડધરી જ્યારે ન્યારી-1 હેઠળ આવતા ઇશ્વરીયા, વડ-વાજડીયા, વાજડીગઢ, વાજડી(વિરડા), હરિપર-પાળ, વેજાગામ, ખંભાળા, ઢાંકરિયા અને ન્યારા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.

રાજકોટમાં 24 કલાકમાં 171 મિલીમીટર વરસાદ પડ્યો છે. સવારે 6થી 9 દરમિયાન 2 ઇંચ વરસાદ પડી ગયો છે. શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. પોપટપરાનું નાળું પાણીમાં ગરકાવ થઈ ગયું છે. શાસ્ત્રીનગરમાં પાણી ભરાયા છે.

લક્ષ્મીનગરનું નાળું પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. રેલનગર અંડરબ્રિજ પણ પાણીમાં ગરકાવ થયો છે. જૂના રાજકોટમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આજી નદી બે કાંઠે વહી રહી છે. કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ફાયર બ્રિગેટ અને એનડીઆરએફની ટીમને ખડેપગે રાખવામાં આવી છે.