રાજકોટઃ સૌરાષ્ટ્રમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટ સિવલ અને ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા 17 દર્દીઓના મોત થતા ખળભળાટ મચી ગયો છે. તહેવાર સમયે જ આટલી મોટી સંખ્યામાં લોકોના મોત થતા હાહાકાર મચી ગયો છે. આ 17 દર્દીઓમાંથી 7 તો રાજકોટ શહેરના છે, જ્યારે પાંચ અન્ય તાલુકાના મળી કુલ 12 લોકો રાજકોટ જિલ્લાના છે. જ્યારે એક વઢવાણ-સુરેન્દ્રનગર, એક કાલાવડ, એક અમરેલી, એક મોરબી, અને એક વેરાવળના દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે.


ગુજરાતમાં ગઈ કાલે કોરોનાના 1056 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 22 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2674 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,170 એક્ટિવ કેસ છે, જ્યારે 55,276 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 76 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,094 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 72,120 પર પહોંચી છે.

રાજ્યમાં ગઈ કાલે કુલ 1138 દર્દી સાજા થયા હતા અને 29,604 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 10,17,234 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 4,95,241 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 4,96,644 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 1597 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.