રાજકોટઃ ગુજરાતમાં કોરોનાએ ભરડો લીધો છે ત્યારે રાજકોટમાં આજે વધુ 3 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સમરસ હોસ્ટેલમાં ફેસિલટી કોરેન્ટાઈન કરવામાં આવેલ 3 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ તમામ દર્દી શહેરના જંગલેશ્વર વિસ્તારના રહેવાસી છે.


આ સાથે જ રાજકોટમાં કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા 59એ પહોંચી ગઈ છે. રાજકોટમાં કુલ કોરોના દર્દી છે તેમાંથી 48 દર્દી તો માત્રે એક જ જંગલેશ્વર વિસ્તારના છે. રાજકોટમાં અત્યાર સુધીમાં કુલ 15 દર્દી સાજા થઈને ઘરે ગયા છે જ્યારે 44 દર્દી હજુ પણ સારવાળ હેઠળ છે. મહત્ત્વની અને સારી વાત એ છે કે રાજકોટમાં એક પણ વ્યક્તિનું મોત થયું નથી.

ગુજરાતની વાત કરીએ તો 29 એપ્રિલ સાંજે 5 કલાકના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 226 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 19 લોકોનાં મોત થયા છે. એકલા અમદાવાદમાં 164 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિત કેસનો આંક 3774 પર પહોંચ્યો છે અને કુલ મૃત્યુઆંક 181 થયો છે.

રાજ્યમાં જે નવા 226 કેસ નોંધાયા છે, તેમાંથી અમદાવાદમાં 164 કેસ, આણંદ-9, ભરૂચ 2,ભાવનગર 1, બોટાદ 6, ગાંધીનગર 6,રાજકોટ 9,સુરતમાં 14 અને વડોદરામાં 15 કેસ નોંધાયા છે.

જે 19 લોકોના મોત થયા છે. આ તમામ મોત અમદાવાદમાં થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના 3774 કેસ નોંધાયા છે, જેમાંથી 34 દર્દી વેન્ટિલેટર પર છે, મૃત્યુઆંક 181 પર પહોંચ્યો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વધુ 40 લોકો કોરોનાના ભરડામાંથી બહાર આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 434 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 56101 ટેસ્ટ થયા જેમાં 3774 પોઝિટિવ આવ્યા છે.