રાજકોટઃ ગુજરાતમાં કોરોના કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે રાજકોટમાં આજે વધુ કોરોનાના 7 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. રાજકોટની સમરસ હોસ્ટેલમાં ફેસિલિટી કોરેન્ટાઈન કરવામાં આવેલ 7 દર્દીને કોરોનાનો ચેપ લાગ્યો છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 9 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.


આજે જે નવા પોઝિટિવ કેસ આવ્યા છે તે તમામ દર્દી શહેરના જંગલેશ્વર વિસ્તારના રહેવાસી છે. આ નવા કેસ સાથે જ રાજકોટમાં કુલ કોરોનાના દર્દીની સંખ્યા 56 પર પહોંચી ગઈ છે. આ તમામ 56 દર્દીમાંથી 45 દર્દી જંગલેશ્વર વિસ્તારના રહેવાસી છે. જોકે સારા સમાચાર એ છે કે રાજકોટમાં અત્યાર સુધીમાં કુલ 15 દર્દી સાજા થઈને ઘરે ગયા છે. જ્યારે 41 દર્દી હાલમાં સારવાળ હેઠળ છે.

ગુજરાતની વાત કરીએ તો 27 તારીખે સાંજ સુધીમાં છેલ્લા 24 કલાકમાં 230 કેસ નોંધાયા હતા, તેમાંથી અમદાવાદમાં 197 કેસ, સુરતમાં 30, આણંદ-2, બોટાદ 1,ડાંગ 1,ગાંધીનગર 5,જામનગર 1,પંચમહાલ 3,રાજકોટ 1 અને વડોદરામાં 6 કેસ નોંધાયા છે.

જોકે આ બધાની વચ્ચે સારા સમાચાર એ છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 81 લોકો કોરોનાના ભરડામાંથી બહાર આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 394 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 75797 ટેસ્ટ થયા જેમાં 3548 પોઝિટિવ આવ્યા છે.

રાજ્યમાં કોરોનાના એક જ દિવસમાં રિકવર થયેલ દર્દીની નજરે જોઈએ 27 એપ્રિલ મહત્ત્વનો દિવસ હતો કારણ કે એ દિવસે અત્યાર સુધીમાં સૌથી વધારે એટલે કે 81 લોકો રિકવર થયા હતા. આ પહેલા રિકવર દર્દીનો એક જ દિવસમાં આટલો મોટો આંકડો સામે ક્યારે આવ્યો નથી.