રાજકોટ: રાજકોટમાં ગુજરાત સરકારની એસટી વિભાગના 30 જેટલા ડ્રાઈવર અને કન્ડક્ટરોને ગેર શિસ્ત બદલ ડિસમિસ કરી દેવામાં આવ્યા છે. તાજેતરમાં જ રાજકોટ ડિવિઝનના વિભાગીય નિયામકે નશો કરી બસ હંકારતા, ફરજમાં બેદરકારી દાખવતા, ફરજ પર અનિયમિત રહેતા, યાત્રિકોને અપાતી ટીકિટમાં ગોલમાલ કરતા એવા 30 ડ્રાઈવર અને કન્ડક્ટરને ડિસમિસ કરી દેવામાં આવ્યા છે.


તેમના પર નશો કરીને બસ ચલાવવા અને ટીકિટમાં ગોલમાલનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારબાદ રાજકોટ ડિવિઝનના 7 ડ્રાઈવર અને 23 કન્ડક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

રાજકોટ ડિવિઝન તરફથી જે ડ્રાઈવર અને કંડક્ટરો પર કડક કાર્યવાહી કરવામાં આવી છે તેમાં રાજકોટ ડેપોના 5, ગોંડલ ડેપોના 1, મોરબી ડેપોના 4, સુરેન્દ્રનગર ડેપોના 1, વાંકાનેર ડેપોના 1, જસદણ ડેપોના 3, ધ્રાંગધ્રા ડેપોના 2 તથા લીંબડી ડેપોના 1, ચોટીલા ડેપોના 2, અને વોલ્વોના 3નો સમાવેશ થાય છે.

કેફીપીણું પીવા બદલ 2 ડ્રાઈવર અને સતત ગેરહાજરી સબબ 5 ડ્રાઈવર અને 22 કન્ડક્ટર તેમજ ટીકિટ ચોરી કરવા બદલ 1 ડ્રાઈવર મળી કુલ 7 ડ્રાઈવર અને 23 કન્ડક્ટરને નોકરીમાંથી બરતરફ કરી દેવામાં આવ્યા છે. આમ વિભાગના જુદા-જુદા ડેપોના કુલ 23 કંડક્ટરોને જુદા-જુદા કારણોસર ઘરભેગા કરી દેવામાં આવ્યા છે.