Heart Attack In Gujarat: કોરોના બાદ ગુજરાતમાં હાર્ટ એટેકની ઘટનામાં મોટો ઉછાળો આવ્યો છે. બે દિવસમાં રાજ્યમાં હાર્ટ એટેકથી સાતના મોત થતા અરેરાટી મચી ગઈ છે. રાજકોટમાં ત્રણ વ્યક્તિના હાર્ટ એટેકથી મોત થયા હતા તો બીજી તરફ સુરત, જૂનાગઢ, ભાવનગર અને મોરબીમાં એક એક વ્યક્તિનું મોત થતા અરેરાટી મચી ગઈ છે. નાની ઉંમરે સતત વધી રહેલા હાર્ટ એટેકના કેસોથી લોકોમાં ચિંતા વધી છે.




જૂનાગઢમાં દાંડીયાની પ્રેક્ટિસ કરતા યુવકનું મોત


જૂનાગઢમાં દાંડીયારાસની પ્રેક્ટિસ દરમિયાન યુવાનનું મોત થયું હોવાનો મામલો સામે આવ્યો છે. મૃતકના પરિજન દ્વારા આપવમાં આવેલા નિવેદન અનુસાર નવરાત્રીની પ્રેક્ટિસ દરમ્યાન યુવાન જમીન પર ઢળી પડ્યો હતો. જે બાદ ચિરાગ પરમાર નામના ૨૪ વર્ષીય યુવાન મોત નિપજ્યું હતું. જમીન પર ઢળી પડતાં યુવાનને હોસ્પિટલો ખસેડાયો હતો. જો કે, હોસ્પિટલમાં હાજર ડોક્ટરે યુવાનને મૃત જાહેર કર્યો હતો.




ભાવનગર શહેરમાં વધુ એક યુવાનનું હાર્ટ અટેકના કારણે મોત


તો બીજી તરફ ભાવનગર શહેરમાં વધુ એક યુવાનનું હાર્ટ અટેકના કારણે મોત થયું છે. ગોરધનભાઈ સોલંકી નામના 32 વર્ષિય યુવકનું હાર્ટ અટેકના કારણે મોત થયું છે. રત્ન કલાકાર તરીકે કામ કરતા ગોરધનભાઈ સોલંકીને અચાનક છાતીમાં દુખાવો ઉપાડતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત થયું હતું. મૃતક યુવાનના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. હાર્ટ અટેકના કિસ્સામાં થઈ રહેલો વધારો લોકો માટે ચિંતા વધારી રહ્યો છે.


મોરબીમાં યુવકનું હાર્ટ એટેકથી મોત


મોરબીમાં પણ યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. જીઓગ્રેસ કારખાનામાં કામ કરતા કામદારનું હાર્ટ એટેકથી મોત થયું છે. 37 વર્ષીય વિક્રમસિંહનું હાર્ટ એટેકથી મોત થતા પરિવારમાં માતમ છવાયો છે.


 



સુરતમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત 
સુરત જ નહીં પરંતુ રાજ્યભરમાં નાની યુવાનીમાં હાર્ટ એટેકના પ્રમાણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નાની ઉંમરમાં હાર્ટ એટેકથી લોકોના મોતના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. જે આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બની રહ્યો છે, ત્યારે સુરત શહેરમાં પણ છેલ્લા કેટલાક સમયથી બાઇક ચલાવતા ચલાવતા હોય કે ચાલતા ચાલતા કે ઊંઘમાં જ હાર્ટ એટેકથી મોતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે વધુ કે પાંડેસરામાં કાપડ મિલમાં સુપરવાઇઝર તરીકે કામ કરતા 43 વર્ષીય શોભરાજ દુરીયા નામના વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે.


શોભરાજને છાતીના ભાગે દુખાવો થતાં ઢળી પડ્યાં હતા. શોભરાજ પાંડેસરા ખાતે ખાનગી મિલમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને અચાનક જ છાતીના ભાગે દુખાવો થયો હતો. તેમના સાથી કર્મચારીઓ દોડી આવ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ મૃતક જાહેર કર્યા હતા. શોભરાજને કોઈપણ પ્રકારની ગંભીર બીમારી ન હતી. મૃતક શોભરાજ મૂળ ઉત્તરપ્રદેશના વતની છે છેલ્લા કેટલાક સમયથી સુરત શહેરના ભેસ્તાન ખાતે આવેલી વૃંદાવન સોસાયટીમાં રહેતા હતા. 


શોભરાજને પરિવારમાં પત્ની અને ત્રણ બાળકો છે, ત્યારે અચાનક હાર્ટ એટેકથી મૃત્યુ નિપજતા ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે અને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે. જોકે ચાલુ કામ દરમિયાન મિલમાં અચાનક હાર્ટ અટેક આવ્યા બાદ મોત થતાં બનાવની જાણ પાંડેસરા પોલીસને કરવામાં આવી હતી, ત્યારે ઘટનાને લઈ પાંડેસરા પોલીસે શોભરાજના મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.