Heart Attack In Gujarat: રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ શહેરોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા આઠ મહિનાથી સતત યુવાનોના હાર્ટ એટેકના કારણે મૃત્યુ થઈ રહ્યા છે. ગઈકાલે પણ એક જ દિવસમાં રાજકોટના ત્રણ યુવાનોના મૃત્યુ થયા હતા. તો આજે સુરત,ભાવનગર,મોરબી અને જૂનાગઢમાં એક એક વ્યક્તિના મોત થયા છે. આમ છેલ્લા બે દિવસમાં હાર્ટ એટેકના કારણે 7 લોકોના મોત થતા અરેરાટી મચી ગઈ છે. આ અંગે રાજકોટના હાર્ટ સ્પેશિયાલિસ્ટએ કહ્યું કે, કોરોના બાદ માત્ર હાર્ટ એટેક જ નહીં પરંતુ આત્મહત્યાનું પ્રમાણ પણ વધ્યું છે. લોકોએ તેલ અને તેલ વાળી વસ્તુ પણ ઓછી ખાવી જોઈએ.




ડોક્ટર દિનેશ રાજ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના હાર્ટના દર્દીઓની છેલ્લા 14 વર્ષથી સારવાર કરી રહ્યા છે. બુધવારના રોજ રાજકોટ શહેરમાં હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયા એક સાથે ત્રણ યુવાનોના મૃત્યુ થયા ત્યારે માત્ર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં ખળભળાટ મચી ગયો હતો. ડો.દિનેશ રાજ સાથે એબીપી અસ્મિતા વાત કરી તેમને કહ્યું હતું કે, કોરોના પછી હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે. કોરોના બાદ લોહી જાડુ થયું છે. ડોક્ટર દિનેશ રાજે અત્યાર સુધીમાં અનેક સર્જરીઓ પણ કરી છે.


યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે તેને લઈને ડોક્ટર દિનેશ રાજને abp asmita ની ટીમ દ્વારા એવું પણ પૂછવામાં આવ્યું કે શું વ્યક્તિના કારણે હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે ત્યારે તેમને એવું કહ્યું કે આ બાબતે કોઈ ઠોસ કારણ આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે સમાજમાં વેક્સીનેશનને લઈને પણ હાર્ટ એટેક આવતું હોવાની ચર્ચાઓ જોવા મળે છે.


 



અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાતના તમામ વિસ્તારોમાં તેલ વધુ ખવાય છે. માથાદીઠ તેલની વપરાશ પણ ખૂબ જ વધારે છે. તેમાં પણ ખાસ કરીને રાજકોટમાં ફરસાણ અને ગાંઠિયા ખાવાનું લોકો વધુ પસંદ કરે છે. મોટાભાગના રાજકોટવાસીઓની સવારે જ ગાંઠિયાથી શરૂઆત થતી હોય છે.  ડોક્ટર દિનેશ રાજનું કેવું છે કે વ્યક્તિદીઠ એક મહિનામાં એક કિલો તેલથી વધારે ખાવું ન જોઈએ. હાર્ટ એટેક આવવાનું પ્રમાણ તેલ ન હોઈ શકે, કેમ કે તેલ તો વર્ષોથી ગુજરાતમાં વધુ ખવાય છે.  સાથે જ લોકોએ નિયમિત કસરત અને લાઈફ સ્ટાઈલ ચેન્જ કરવાની જરૂરિયાત છે અને વ્યસનથી પણ દૂર રહેવાની જરૂરિયાત છે.


રાજ્યભરમાં સમાજ અને સરકાર માટે સૌથી ચિંતાનો વિષય હોય તો યુવાનોના મૃત્યુનો છે જ્યારે એક યુવાનનું મૃત્યુ થાય ત્યારે માત્ર તે યુવાનોનું જ મૃત્યુ થતું નથી પરંતુ તેમનો આખો પરિવાર વેરવિખેર થઈ જતો હોય છે. ત્યારે મેડિકલ સાયન્સ એટલું બધું આગળ વધી ગયું છે ત્યારે યુવાનોમાં છેલ્લા આઠ દસ મહિનાથી જે રીતે હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે તેને લઈને સંશોધન કરવાની જરૂરિયાત છે.


સુરતના જાણીતા ડોક્ટરે તેલ ઓછું ખાવાની આપી સલાહ


સુરત શહેર સહીત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં હાર્ટ અટેકની ઘટનાઓ સતત વધી રહી છે જે ચિંતાનો વિષય છે.આ બાબતને લઈ એક સર્વે કરવામાં આવ્યો છે જેમાં વધુ પડતું તેલ અને બટરનું સેવન પણ હાર્ટ અટેક માટે કારણભૂત બન્યું છે. જેનાથી બચવા ડોક્ટરો સલાહ આપી રહ્યા છે. સુરતનું જમણ અને કાશીનું મરણ આ કહેવત સુરતીઓની છે અને સ્વાદપ્રિય સુરતની જનતા નાસ્તો કે ભોજનનો ચટાકો લેવા માટે કઈ પણ કરી છૂટે છે. સુરતીઓની સવાર પડે છે ને પહોંચી જાય છે લોચો ખાવા. જોકે લોચો ખાવો હાનિકારક નથી પરંતુ તેમાં વપરાતું તેલ,ચીઝ અને બટર લોકોના સ્વસ્થ માટે હાનિકારક છે. સુરત સહીત ગુજરાતમાં હાર્ટ અટેકની ઘટના સતત વધી રહી છે. સુરતમાં તો ચાલતા ચાલતા, ફેક્ટરીમાં કામ કરતા,બાઈક પર જતા હાર્ટ અટેક આવી રહ્યા છે જે ચિંતાનો વિષય છે.


સુરતના ખ્યાતનામ ચેસ્ટ સ્પેશ્યાલીસ્ટ ડો સમીર ગામીનું કહેવું છે કે વધુ પડતું તેલ અને બટરનું સેવન ટાળવું જોઈએ. રોજિંદા કસરત કરવાની ટેવ પાળવી જોઈએ જેથી હાર્ટ અટેકથી બચી શકાશે. સૌરાષ્ટમાં કરવામાં આવેલ સર્વેમાં વધુ પડતું તેલનું સેવન કરવાથી હાર્ટ અટેક આવી શકે તેવું તારણ બહાર આવ્યું છે.