રાજકોટ: રાજકોટ શહેરમાં એક ખૂબ જ ચોંકવાનારી ઘટના સામે આવી છે. શહેરના બજરંગવાડી વિસ્તારમાં રહેતી એક 15 વર્ષની સગીરાએ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી છે.  આ 15 વર્ષની સગીરાને તેના બનેવી સાથે પ્રેમસંબંધ હોય  જેમાં નિષ્ફળતા મળતા આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. 


સમગ્ર અહેવાલ અનુસાર, શહેરના બજરંગવાડી વિસ્તારમાં રહેતી સગીરાએ ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. સગીરાને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યારે ટૂંકી સારવાર બાદ તેનુ મોત નિપજ્યું  હતું. બનાવની જાણ થતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરુરી કાર્યવાહી કરી હતી. મૃતક સગીરા ચાર બહેન અને બે ભાઈઓમાં બીજા ક્રમે હતી. હાલ તો આ ઘટનાને લઈ પરિવારમાં કલ્પાંત છે.  પોલીસે આ સમગ્ર કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.  


રાજકોટ- ભાવનગર હાઈવે પર કારે  8 વર્ષના બાળકને ટક્કર મારતા  મોત, પરિવારમાં અરેરાટી


 રાજકોટ- ભાવનગર હાઈવે પર બળધોઈ ડુંગર પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. કાર ચાલકે 8 વર્ષના બાળકને ટક્કર મારતા  મોત નીપજ્યું છે. આ અકસ્માતમાં બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.  ભાવનગર હાઇવે પર આવેલા બળધોઇ ડુંગર પાસે અકસ્માત સર્જાયો હતો. 


કારના ચાલકે ટક્કર મારતા હર્ષ ટાઢાણીનું ગંભીર ઇજાના કારણે મોત નિપજ્યું હતું. બાળકના મોતના કારણે પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.  હર્ષ તેના પરિવાર સાથે બળધોઇ ડુંગર પર ચાલી રહેલા ખોડિયાર માતાના પાટોત્સવમાં ભાગ લેવા આવ્યો હતો. આ દરમિયાન અકસ્માતની ઘટના બની હતી. હર્ષ ધોરણ 3માં અભ્યાસ કરતો હતો. હર્ષ બે ભાઈઓમાં નાનો હતો. આ બનાવના પગલે પાંચવડા ગામમાં સોંપો પડી ગયો હતો. અકસ્માત બાદ હર્ષને સિવિલમાં ખસેડાયો હતો અને ત્યાંથી પીએમ માટે મૃતદેહને લઇ જવામાં આવ્યો હતો. વધુ તપાસ આટકોટ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. 


રાજકોટની આંગડીયા પેઢીમાં લૂંટ, 35 લાખ ભરેલી બેગ લઇને કર્મચારી જ થયો ફરાર


રાજકોટમાંથી આંગડીયા પેઢીમાંથી એક ચોંકાવનારી લૂંટની ઘટના સામે આવી છે, શહેરના ગોંડલ રૉડ પર આવેલી એક આંગડીયા પેઢીમાંથી કર્મચારીએ જ 35 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ સમગ્ર ઘટના ગઇ 10 માર્ચે ઘટી હતી જોકે, આંગડીયા પેઢીના મેનેજરે શનિવારે કર્મચારી વિરૂદ્ધ લૂંટનો કેસ નોધાવ્યો હતો. 


ખરેખરમાં, ઘટનાની વિગતો એવી છે કે, ગઇ 10 માર્ચે રાજકોટમાં આ લૂંટની ઘટના ઘટી હતી, રાજકોટના ગોંડલ રૉડ પર આવેલી આંગડીયા પેઢી જેનું નામ એસ.રમેશચંદ્ર છે, જેમાં એક કર્મચારી કામ કરતો હતો, જેનું નામ અર્જૂનસિંહ જાડેજા છે, તેને આ સમગ્ર લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસ ફરિયાદ અનુસાર, ગઇ 10 માર્ચે જ્યારે એસ. રમેશચંદ્ર આંગડીયા પેઢીના મેનેજર વતનમાં ગયા હતા, આ દરમિયાન તકનો લાભ લઇને આંગડીયા પેઢીમાં કામ કરતાં કર્મચારી અર્જૂનસિંહ જાડેજાએ 35.5 લાખ રૂપિયાથી ભરેલી બેગની ઉઠાંતરી કરી હતી, અર્જૂનસિંહ જાડેજા મૂળ પાટણનો વતન હતો અને ગોંડલની આ આંગડીયા પેઢીમાં કામ કરતો હતો. કર્મચારી અર્જૂનસિંહ 35 લાખ રૂપિયાથી ભરેલી બેગ લઇને ફરાર થઇ હતો. જ્યારે આંગડીયા પેઢીના મેનેજરને આ વાતની જાણ થઇ તો તેમને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લૂંટની ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી.