રાજકોટ: રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોના પાકને વળતર મળી રહે તે માટે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાના પ્રતિક ઉપવાસને લઈને પ્રશાસન એક્શનમાં આવ્યુ છે. ધોરાજી તાલુકામાં ભારે વરસાદથી થયેલા પાક નુકસાન અંગે સર્વે ટીમની રચના કરવામાં આવી છે.


ધોરાજી તાલુકાના અસરગ્રસ્ત ગામો અને વિસ્તારમાં સર્વેની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાનો આદેશ અપાયો છે. આ સર્વે ટીમની રચના તાલુકા વિકાસ અધિકારીએ કરી છે. આજે નુકસાની અંગે સર્વે માટે ધારાસભ્ય લલીલ વસોયા ધરણા પર ઉતરે એ પહેલા અટકાયત કરવામાં આવી હતી. લલિત વસોયા આજે ડેપ્યુટી કલેક્ટર કચેરીએ ધરણા યોજવાના હતા. જો કે તેઓ ધરણા યોજે તે પહેલા જ અટકાયત કરવામાં આવી હતી.

રાજ્યમાં પડી રહેલા અવિરત વરસાદને કારણે મોટા પ્રમાણમાં ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે. ભારે વરસાદના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જતા ખેડૂતો વળતર આપવાની માંગ કરી રહ્યા છે.