તૌક્તે વાવાઝોડાના કારણે રાજ્યના ખેડૂતોને ખૂબ જ મોટાપાયે નુકસાન થયું છે. રાજ્ય સરકાર દ્વારા બાગાયતી પાક માટે રૂપાણી સરકાર દ્વારા 500 કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી છે. વિજય રૂપાણી સરકાર દ્વારા 500 કરોડ રુપિયાના કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે. બાગાયતી પાક નુકસાનમાં હેક્ટરદીઠ 1 લાખની સહાય ચૂકવવામાં આવશે. ઉનાળુ પાક નુકસાનમાં 20 હજાર રૂપિયા મળશે.  જ્યારે જે બાગાયતી પાકો ખરી ગયા છે અને 33થી વધુ ટકા નુકસાન થયું છે તેને હેક્ટર દીઠ રૂ.30,000ની બે હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે.


વાવાઝોડાથી પાકને થયેલા નુકસાનને લઈ સરકારે જાહેર કરેલા પેકેજ પર કૉંગ્રેસે ગંભીર સવાલ ઉઠાવ્યા છે. નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ કહ્યું કે આ પેકેજ છે કે પડીકું. સરકારે જાહેર કરેલા પેકેજનું વિશ્લેષણ કરી ધાનાણીએ કહ્યું કે આ સહાયથી લાકડા દૂર કરવાના પૈસા પણ નહીં નિકળે. ધાનાણીએ ટ્વીટ કરીને લખ્યું કે હેક્ટર દીઠ કુલ આંબાના ૧૨૫ તેમજ નાળિયેરી, ચિકુ, લિંબુ અને સિતાફળીના મહતમ ૨૫૦ ઝાડ ગણાય અને હેક્ટર દીઠ સહાય ૧ લાખ એટલે આંબા દીઠ માત્ર રૂ. ૮૦૦ અને નાળિયેરી દીઠ રૂ. ૪૦૦ ચૂકવાય.


રાજકોટમાં કૃષિમંત્રી આર.સી ફળદુએ પત્રકાર પરિષદ યોજી હતી. તૌકતે વાવાઝોડાથી ખેડૂતોના નુકશાન બાદ રાજ્ય સરકારના રાહત પેકેજને લઈને કૃષિમંત્રીએ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસના મિત્રો ખોટી કોમેન્ટ પાસ કરી રહ્યા છે. મેં અનેક વાવાઝોડા જોયા છે.  મને વાવાઝોડાનો અનુભવ છે. 87 ટકા સર્વેની કામગીરી પૂર્ણ કરી દીધી છે. ખેડૂતોને બે હેકટરની મર્યાદામાં 2 લાખ રૂપિયા મળશે. ઉનાળુ પાકમાં જે ખેડૂતોને નુકશાન થયું છે તે ખેડૂતોને એક હેકટર દીઠ 20000 રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે.  કૉંગ્રેસના મિત્રો ક્યારેય ભૂતકાળમાં કેટલા રૂપિયા સહાય આપી હતી અગ્રણીઓ પ્રેસ કોંફરન્સ કરે. કૃષિમંત્રીએ કહ્યું એને તો પડીકું જ લાગશે અમે સેવા કરી છે.  વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને કૃષિમંત્રીએ જવાબ આપ્યો હતો.