રાજકોટઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને પગલે રાજકોટની આજી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદીમાં પૂરને પગલે રામનાથ મહાદેવ મંદિર પર જવાનો પુલ તૂટી ગયો છે. નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ આવ્યો છે. લોકો પણ મોટી સંખ્યામાં ઉમટ્યા છે. જોકે, મંદિર પર પોલીસ બંદોબસ્ત મુકી દેવાયો છે. જેથી લોકો આવે નહીં.


રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા છત્રાસા ગામે આભા ફાટ્યું હતું. છત્રાસા ગામે માત્ર ત્રણ જ કલાકમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેને કારણે મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં અને ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. રાજકોડ અને જૂનાગઢ બોર્ડર પર આવેલા ગામડાંઓમાં રવિવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના એક નાનકડા ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોરાજીના છત્રાસા ગામે રવિવારે આભા ફાટ્યું હતું. છત્રાસામાં માત્ર ત્રણ કલાકમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.

ભારે વરસાદને કારણે ગામના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં અને ચારે બાજુ પાણી જ પાણી જોવા મળતું હતું. ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા હતાં. રવિવારે પડેલા ધોધમાર વરસાદને પગલે છત્રાસા આખું ગામ પાણી પાણી થઈ ગયું હતું.

સૌરાષ્ટ્રમાં મેઘસવારી યથાવત રહી હતી અને 74 તાલુકા મથકોએ અડધાથી છ ઈંચ વરસાદ વરસ્યો હતો. આ સાથે મોરબી જિલ્લાનાં આમરણ ચોવિસી પંથકનાં ગ્રામ્ય વિસ્તારોમાં 15 ઈંચ જેવા વરસાદથી સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ હતી.

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વિસાવદર અને ગીરગઢડામાં મુશળધાર છ ઈંચ તો મોરબી અને ધોરાજી પંથકમાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે માળીયા હાટીના, માંગરોળ, માણાવદર, હળવદ, માળીયા મિંયાણા, તાલાલા, ધ્રાંગધ્રામાં ચાર ઈંચ તો ગોંડલ, જૂનાગઢ, જોડિયા, રાજુલા, ઉના, કોડિનાર, ખંભાળિયા, પોરબંદર, લીંબડીમાં ત્રણ ઈંચ વરસાદથી માર્ગો જળબંબોળ બન્યા હતાં.