Amitabh Bachchan Covid 19: અભિનેતા અમિતાભ બચ્ચન કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેણે પોતે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, "મારો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું મને મળેલા દરેક લોકોને પોતાની જાતની તપાસ કરાવે (Corona test) અને સુરક્ષિત રહેવાની અપીલ કરું છું."


જૂનાગઢમાં અમિતાભ બચ્ચનનો આગામી પ્રવાસ કેન્સલ થઈ શકે છે. બચ્ચન શેરનાથ બાપુના આશ્રમની મુલાકાત લેવાના હતા. 26 ઓગસ્ટના રોજ  બિગ બિ આવવાના હતા. આજે શેરનાથ બાપુ દ્વારા કાર્યક્રમ અંગે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું.હાલ પત્રકાર પરિષદ કેન્સલ કરાઈ છે. કોવિડના કારણે બિગ બિ સોરઠનો પ્રવાસ ટાળી શકે છે.


હાલ KBC 14ને હોસ્ટ કરી રહ્યા છે બીગ બીઃ


કોરોના પોઝિટિવ આવેલા અમિતાભ બચ્ચન હાલ કૌન બનેગા કરોડપતિ (KBC 14) શોને હોસ્ટ કરી રહ્યા છે. આ દરમિયાન ઘણા સ્પર્ધકોના સંપર્કમાં અમિતાભ બચ્ચન આવે તે સ્વાભાવિક છે. આવી સ્થિતિમાં તેમને કેવી રીતે ચેપ લાગ્યો તે કહેવું મુશ્કેલ છે. અમિતાભ બચ્ચન પોતાને ફિટ રાખવા માટે ઘણા બધા કામ કરે છે. તે કોરોના વાયરસના સમયમાં પણ પોતાનું ખૂબ ધ્યાન રાખતા જોવા મળ્યા હતા.


અમિતાભ બચ્ચનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેઓ આ દિવસોમાં બીજા ઘણા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. હાલમાં જ અજય દેવગન ફિલ્મ 'રનવે 34'માં જોવા મળ્યા હતો. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી. આ પછી તે અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે. આ ફિલ્મ 9 સપ્ટેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે.


મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં વધારોઃ


તાજેતરના દિવસોમાં, મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે. આરોગ્ય વિભાગ દ્વારા મંગળવારે સાંજે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ મુંબઈમાં 1355 કેસ સામે આવ્યા છે. તે જ સમયે, સમગ્ર મહારાષ્ટ્રમાં 1910 કેસની પુષ્ટિ થઈ છે, જે સોમવાર કરતા 727 વધુ છે. સોમવારે 1183 નવા કેસ નોંધાયા છે.


આરોગ્ય વિભાગના બુલેટિન મુજબ, મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ 80,87,476 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયાની પુષ્ટિ થઈ છે જ્યારે કોરોના વાયરસથી સંક્રમિત થવાના કારણે અત્યાર સુધીમાં 1,48,203 લોકોના મોત થયા છે. સોમવારે 1273 દર્દીઓ ચેપમુક્ત થયા છે, રાજ્યમાં અત્યાર સુધીમાં 79,26,918 દર્દીઓએ ચેપને માત આપી છે. રાજ્યમાં 12,355 દર્દીઓ સારવાર હેઠળ છે. મુંબઈમાં સૌથી વધુ 6269 દર્દીઓ સારવાર હેઠળ છે.