Biparjoy cyclone: બિપરજોય વાવાઝોડાને લઈને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અલગ અલગ મંત્રીને તેમને સોંપેલા જિલ્લાઓમાં રાત્રે જ પહોંચી જવા આદેશ આપ્યા છે. ગૃહપ્રધાન હર્ષ સંઘવી,કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ અને કનુ દેસાઈ રાજકોટ પહોંચ્યા છે. હર્ષ સંઘવીને દ્વારકાની,કનું દેસાઈને મોરબી અને રાઘવજી પટેલને રાજકોટની જવાબદારી સોંપાઈ છે.


આ અંગે હર્ષ સંઘવીએ કહ્યું કે, તમામ પ્રકારની તૈયારી તંત્ર દ્વારા કરી લેવામાં આવી છે. મુખ્યપ્રધાન દ્વારા હાઈલેવલ બેઠક કરવામાં આવી છે. સીએમએ અલગ અલગ મંત્રીઓને અલગ અલગ જિલ્લાઓની જવાબદારી સોંપી રાત્રે જ પહોંચી જવા સૂચના આપી છે. હું દ્વારકા જઈ રહ્યો છું. કનુ દેસાઈને મોરબીની જવાબદારી સોંપવામાં આવી છે. રાઘવજી પટેલને રાજકોટની જવાબદારી સોંપીને પહોંચી જવા સૂચના આપવામાં આવી છે. તમામ લોકો તંત્ર દ્વારા જે સૂચના આપવામાં આવી છે તેને ફોલો કરવા અપીલ છે.


વાવાઝોડાને લઈ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કયા મંત્રીને કયા જિલ્લાની સોંપી જવાબદારી


Biparjoy Cyclone News: રૌદ્ર સ્વરૂપે વાવાઝોડું ગુજરાટમાં ટકરાવાનું નક્કી છે. વાવાઝોડુ પોરબંદરથી માત્ર 450 કિલોમીટર દૂર છે, જ્યારે દ્વારકાથી 490 કિલોમીટર અને નલીયાથી 570 કિલોમીટર દૂર છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાનું યલો અલર્ટ આપવામાં આવ્યું છે. ધીમે ધીમે વાવાઝોડાની સ્પીડમાં પણ વધારો થઈ રહ્યો છે. વાવાઝોડાના ખતરાને લઈ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક પણ યોજી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના દરિયાઈ વિસ્તારના જિલ્લાઓમાં સંભવિત બિપરજોય વાવાઝોડાની અસર સામે જિલ્લા તંત્રએ કરેલા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન કામોમાં માર્ગદર્શન માટે રાજ્ય મંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીઓને આ જિલ્લાઓની જવાબદારી સોંપી છે.


કયા જિલ્લાની જવાબદારી કયા મંત્રીને સોંપી



  • કચ્છ જિલ્લામાં મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રફુલ ભાઇ પાનશેરીયા

  • મોરબીમાં કનુભાઈ દેસાઈ

  • રાજકોટ જિલ્લામાં રાઘવજી પટેલ

  •  પોરબંદરમાં કુંવરજી બાવળિયા

  • જામનગર જિલ્લામાં મુળુ ભાઇ બેરા

  • દેવભૂમિ દ્વારકામાં હર્ષ સંઘવી

  • જૂનાગઢ જિલ્લામાં જગદીશ વિશ્વકર્મા

  •  ગીર સોમનાથમાં પરસોત્તમ સોલંકી


આ બધા જ મંત્રીઓને તેમને સોંપાયેલા જિલ્લાઓમાં પહોંચવાની સૂચનાઓ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી છે.



હવામાન વિભાગે શું કહ્યું


હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું, બિપરજોય વાવાઝોડું વેરી સિવિયર સાયકલોન બની ચૂક્યું છે. ગુજરાતમાં 15 તારીખે વાવાઝોડું ત્રાટકશે. સૌરાષ્ટ્ર કચ્છ કોસ્ટમાં વાવાઝોડું ટકરાશે. ગુજરાતમાં ટકરાશે ત્યારે 125 થી 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. 14 અને 15 તારીખે કચ્છ, મોરબી, દ્વારકા, રાજકોટ, જામનગર, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વાવાઝોડાની અસર વર્તાશે. અમદાવાદમાં પણ ભારે વરસાદની સંભાવના છે. ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી છે.


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શું કહ્યું


બિપરજોય વાવાઝોડાને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું, બિપરજોય વાવાઝોડાની અસર મધ્ય ગુજરાત સુધી વર્તાશે. મધ્ય ગુજરાતમાં માધ્યમથી ભારે વરસાદ આવવાની શક્યતા છે. અમદાવાદ, વડોદરા, બોડેલી, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. પોરબંદર સહિત સૌરાષ્ટ્રના દરિયા કિનારા વિસ્તારોમાં 12 થી 16 જૂન વચ્ચે ભારે પવન અને ભારે વરસાદની શક્યતા છે. પોરબંદર, ઓખા બંદર પર પવન ની ગતિ 100km સુધી રહેવાની શક્યતા છે. ભારે આંધી અને વાવાઝોડા સાથે વરસાદ આવવાની શક્યતા છે.