Rajkot News: રાજકોટ ગોંડલના ઉમવાડા રોડ પર તુલસી એગ્રીની બાજુના ખેતરના કૂવામાંથી યુવક યુવતિના મૃતદેહ મળ્યા હતા. ગૌશાળામાં કામ કરતા લાખાભાઈ વાલાભાઈ ધાનોયા (ઉ.વ.22 ) અને માલીબેન ભોજાભાઈ ગુજરીયા (ઉ.વ.19) ના મૃતદેહ મળ્યા હતા. કૂવાની બાજુમાંથી ઝેરી દવા અને ચંપલ સહિતની વસ્તુઓ મળી આવી હતી. મૃતક યુવક યુવતિ રાત્રીના 2:30 કલાકે બાઈક અને પગપાળા ખેતર નજીક આવ્યા હોવાના CCTV પણ સામે આવ્યા છે. ગોંડલ નગર પાલિક ફાયર બ્રિગેડે મૃતકોના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢીને ગોંડલ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડ્યા હતા. પ્રેમી પંખીડાઓનું મોત ઝેરી દવા પીવાથી થયું કે કુવામાં ડૂબવાથી થયું તેનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે બંને મૃતદેહનો ફોરેન્સિક પીએમ કરવાનો નિર્ણય કર્યો છે. ફોરેન્સિક પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.


CCTVમાં થયા કેદ


ગોંડલ ઉમવાડા રોડ પર આવેલા તુલસી એગ્રીની બાજુમાં આવેલા ખેતરના કુવામાં ભૂસકો મારીને પ્રેમી પંખીડાએ સજોડે આપઘાત કર્યો છે. મૃતક યુવક ધાનોયા લાખાભાઈ વાલાભાઈ (ઉ.વ. 22) ઉમવાડા રોડ પર ગૌ શાળામાં ત્રણ વર્ષથી પશુપાલનનું કામ કરતા હતા. મૃતક યુવતી માલીબેન ભોજાભાઈ ગુજરીયા (ઉ.વ.19) ગોંડલ તાલુકાના બિલિયાળા ગામે સિમમાં આવેલા ગૌ શાળામાં કામ કરતી હતી. મૃતક યુવક અને યુવતી ખેતર નજીક આવેલ કારખાનાના CCTV કેમરામાં રાત્રિના 2.30 વાગ્યા આસપાસ બાઈકમાં અને પગપાળા કુવા નજીક જતા નજરે પડે છે.




કુવા પાસેથી ઝેરી દવાની બોટલ, ચંપલ મળ્યા


મૃતક યુવાન અને યુવતિએ જ્યાં આપઘાત કર્યો ત્યાં કુવા પાસેથી યુવકના ચંપલ અને સાથે ઝેરી દવાની બોટલ મળી આવી હતી. ગોંડલ B-ડિવિઝન પોલીસ અને ગોંડલ ફાયર સ્ટાફ ઘટનાસ્થળે પહોંચીને કુંવામાંથી યુવક-યુવતીના મૃતદેહને બહાર કાઢ્યા હતા. બંને પ્રેમી પંખીડાની બોડી પીએમ અર્થે પ્રથમ ગોંડલ સિવિલ હોસ્પિટલ અને બાદમાં ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પી.એમ.રિપોર્ટ બાદ ખ્યાલ આવશે કે દવા પીને આત્મહત્યા કરી છે કે શું?. પીએમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.