રાજકોટઃ રાજકોટના કિસાનપરામાં 10 વર્ષથી એક જ ઓરડીમાં છૂપાયેલા બે ભાઈ અને એક બહેનને બહાર કઢાયા એ કેસમાં ત્રણેયના પિતાએ ચોંકાવનારી વિગતો આપી છે.


આ યુવક યુવતીઓના પિતા નવિનભાઈ મહેતાએ કહ્યું કે, મારા નાના દિકરા ભાવેશમાં અઘોરીની અસર છે અને તે કપડાં પહેર્યા વગર નગ્ન થઈને અગાસી પર આંટાફેરા કરતો હતો. અમારી સોસાયટી સારી છે એટલે કોઈ લોકો બોલતા નથી પણ તેની હરકતો અયોગ્ય હતી.

તેમણે કહ્યું કે, નાનો દીકરો તુલસી ગુટખા ખાતો હતો એટલે તેમાં કંઈ ભેળવી દઈ કોઈકે કંઇ ખવડાવ્યું છે. એ પછી તે મારામારી કરતો હતો. તેમણે કહ્યું કે, 1986માં તેની મમ્મી બીમાર પડી ત્યારથી અસર થઈ છે. પાંચ વર્ષ પહેલાં તેની મમ્મી ગુજરી ગઈ ત્યારથી આવી હાલતમાં રહે છે. છ વર્ષથી આ જ પરિસ્થિતિમાં છે અને દવાની કોઈ અસર થતી નથી. જૈન સાધુ મહારાજે પાલિતાણામાં કહ્યું હતું કે, આ અમારૂ કામ નથી. સાળંગપુર પણ ગયા છીએ પણ કોઇ જ પ્રકારનો ફેર પડ્યો નથી.

આ ત્રણેય ભાઈ-બહેનને જમવાનું તેમના પિતા પહોંચાડતા હતા. દરવાજા પાસે થાળી રાખે એટલે બહેન લઈ લેતી અને બંને ભાઈઓને ખવડાવતી હતી. તેમના પિતા નવિનભાઈ નિવૃત્ત સરકારી કર્મચારી છે અને 35 હજાર જેટલું પેન્શન આવે છે. ત્રણેય સંતાનોની ઉંમર 30 વર્ષથી 42 વર્ષ છે.