રાજકોટઃ રાજકોટના કિસાનપરામાં 6 વર્ષથી એક જ ઓરડીમાં છૂપાયેલા બે ભાઈ અને એક બહેનને બહાર કઢાયા એ કેસમાં ત્રણેયના પિતાએ ચોંકાવનારા આક્ષેપો કર્યા છે.


ત્રણેય ભાઈ-બહેનના પિતા નવિનભાઈ મહેતાએ મીડિયા સાથેની વાતચીતમાં પોતાનાં સંતાનો પર નજીકના સંબંધીઓએ જ મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે, મેલી વિદ્યાના પ્રયોગના કારણે આ સ્થિતિમાં તેઓ એક જ ઓરડીમાં છ વર્ષ સુધી પુરાઈ રહ્યાં હતા. તેમણે કહ્યું કે, નાનો દીકરો તુલસી ગુટખા ખાતો હતો એટલે તેમાં કંઈ ભેળવી દઈ કોઈકે કંઇ ખવડાવ્યું છે. મીડિયા સાથે વાત કરતી પિતા ભાવુક થઈ રડી પડ્યા હતા.

82 વર્ષીય નવીનભાઈ મહેતાના ત્રણેય સંતાનો છે. નવીનભાઈ જ ત્રણેય સંતાનોને જમવાનું પહોંચાડતા હતા. ત્રણેય ભાઈ-બહેનને બહાર કાઢવામાં આવ્યા ત્યારે તેમણે પહેરેલાં કપડાંમાંથી દુર્ગંધ આવતી હતી. રૂમની અંદર પણ મેલાં કપડાં અને અખબારો પડ્યા હતા. સાથી સેવા ગ્રુપના સભ્યોએ તમામના વાળ વધી ગયા હોવાથી કાપ્યા હતા. બંને ભાઈની દાઢી પણ કર્યા પછી ત્રણેયને નવડાવ્યા હતા અને નવાં કપડાં પહેરાવ્યાં હતાં.