અમદાવાદઃ જૂનાગઢ જિલ્લાનામાં આવેલા મેંદરડા નજીક એક પુલ તૂટી પડ્યો હતો. અચાનક પુલ તૂટી પડવાના કારણે ત્રણથી ચાર જેટલી કાર પુલ વચ્ચે જ ફસાઇ હતી. આ ઘટનામાં 12 જેટલા વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળાં એકઠાં થયા હતા. અને પુલમાં ફસાયેલી કારમાંથી લોકોને બહાર કાઢ્યા હતા. સદનસિબે આ ઘટનામાં કોઇ જાનહાનિ પહોંચી નથી. વધુ મળતી માહિતી પ્રમાણે વર્ષો જૂના આ પુલના ત્રણ ટૂકડા થયા હતા. જેના કારણે આસપાસના 11થી વધુ ગામો વચ્ચેનો સંપર્ક તૂટી ગયો હતો.


જૂનાગઢ- સાસણને જોડતો એકમાત્ર મેંદરડા રોડ છે. ત્યારે મેંદરડાથી 14 કિમી દુર માલણકા ગામ પાસે મધુવંતી ડેમની પાસે પુલ આવેલો છે. રવિવારે સાંજનાં સમયે અચાનક આ પુલ તૂટી પડયો હતો. પુલ ઉપરથી પસાર થતી 3 ફોરવ્હીલ નીચે ખાબકી હતી. જોકે પુલનાં ઉપરનાં ભાગે આ ફોરવ્હીલ રહી હતી. ફોરવ્હીલ નીચે પડવાનાં કારણે 12 વ્યકિતને નાની-મોટી ઇજા પહોંચી હતી.



આ ઘટનાની જાણ તંત્રને થતાં જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘીનાં માર્ગદર્શનમાં ફાયર, 108, વન વિભાગ, આરએન્ડબી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. તેમજ ઇજા પામેલા 12 લોકોને સાસણ, મેંદરડા અને જૂનાગઢ સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. આ પુલ નવાબીકાળનો છે અને તેની લંબાઇ 60 ફૂટ છે. પુલનાં 20-20 ફૂટનાં ત્રણ કટકાથી જોડેલો છે. જેમાંથી 40 ફૂટનો પુલ તૂટી પડયો છે. આ પુલ તૂટવાનાં કારણે મેંદરડા- સાસણનો રોડ સંપુર્ણ બંધ થઇ ગયો છે.

સુત્રોનું માન્યે તો એક માસ સુધી આ પુલ રીપેર થઇ શકે તેમ નથી. કારણ કે અહીં પાણીનો ભરાવો એટલો છે કે, નવો પુલ બનાવવો અથવા તો અહીં ડાયર્વઝન કાઢવું મુશ્કેલ છે. મધુવંતી ડેમનાં પાણીનાં થડકા લાગવાનાં કારણે આ પુલ તૂટી પડયો છે.

રસ્તો બંધ થતાં હાલ દેવળીયાનો માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો છે. દેવળીયાથી માળિયાહાટીના થઇ નેશનલ હાઇવે થઇ જૂનાગઢ આવી શકાશે. જોકે મોટી મશીનરીનો ઉપયોગ કરવામાં આવે તો આ માર્ગ 10 દિવસે ખુલે તેમ છે.