રાજકોટઃ આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રાજકોટની મુલાકાતે પહોંચ્યા છે. તેમણે અધિકારીઓ સાથે રાજકોટમાં કોરોનાના સંક્રમણ અંગે સમીક્ષા કર્યા પછી પત્રકાર પરીષદ સંબોધી હતી. આ સમયે પત્રકારો દ્વારા મંત્રી મંડળના વિસ્તરણ મુદ્દે પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે, અત્યારે એવી કોઈ વાત નથી.


નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં રૂપાણી મંત્રી મંડળના વિસ્તરણની ચર્ચા ચાલી રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી થોડા દિવસ પહેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળવા જતાં આ અટકળો વહેતી થઈ હતી. એટલું જ નહીં, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીને કેબિનેટમાં સ્થાન મળવાની ચર્ચાઓ પણ વહેતી થઈ હતી. જોકે, મુખ્યમંત્રી રૂપાણીના નિવેદનને કારણે આ તમામ અટકળોનો અંત આવ્યો છે.