રાજકોટ: પડધરી-ટંકારાના ધારાસભ્ય અને રાજકોટ લોકસભા બેઠક કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાના પુત્રનો પશ્વિમ બંગાળમાં અકસ્માત થયો હતો જેમાં તેનું મોત નિપજ્યું હતું. લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જયો હતો. લલિત કગથરાના પુત્રની આજે અંતિમ યાત્રા નીકળી હતી જેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજકિય અને સામાજિક લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતાં.

ટંકારા-પડધરીના ધારાસભ્ય લલિત કગથરાના પુત્રનું અકસ્માતમાં મોત બાદ આજે અંતિમ યાત્રા નિકળી હતી જેમાં મોટી સંખ્યામાં રાજકીય અને સામાજિક અગ્રણીઓ જોડાયા હતા. આ ઉપરાંત વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, શંકરસિંહ વાઘેલા, ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, ઉમિયા ધામના મૌલેશ ઉકાણી, રાજકોટ ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયા, પૂર્વ સાંસદ હરીભાઈ પટેલ, ધારાસભ્ય કિરીટ પટેલ, લલિત વસોયા સહિત સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ સ્મશાન યાત્રામાં જોડાયા હતાં.

કોંગ્રેસના લોકસભા બેઠકના ઉમેદવાર લલિત કગથરાના પુત્ર વિશાલ દિવ્યાંગ બાળકોને લઈને પશ્વિમ બંગાળના પ્રવાસે ગયો હતો તે દરમિયાન લક્ઝરી બસ બહેરામપુરા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં લલિત કગથરાના પુત્ર વિશાલ કગથરાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.

વિશાલના મોતના સમાચારના પગલે કગથરા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે લક્ઝરી બસનો એક બાજુનો ભાગ સાવ ભુક્કો થઈ ગયો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી હતી.