રાજકોટ: પ્રજાસત્તાક પર્વના આગલા દિવસે એટલે શનિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટવાસીને એરપોર્ટ જેવા અત્યાધુનિક બસ ટર્મિનલની ભેટ આપી હતી. 156 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા બસ ટર્મિનલનુ વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યારે વિજય રૂપાણીએ વધુ એક રાજકોટ માટે મોટી જાહેરાત કરી હતી.




રાજકોટમાં તૈયાર કરવામાં આવેલા બસ પોર્ટનું CM વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ બસ પોર્ટ 11,178 ચોરસ મીટરમાં તૈયાર કરવામાં આવેલું છે. જેમાં શોપિંગ મોલ, ગેમઝોન અને સિનેમા સહિતની સુવિધાથી સજ્જ હશે.



બસ પોર્ટમાં અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગમાં 300 કાર પાર્કિગ અને 1200 બાઈક પાર્કિંગની પણ સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે. બસ ટર્મિનલમાં હાલ રોજ 450 બસો અવર-જવર કરી રહી છે. ખાવા-પીવા, શોપિંગ સહિત 350થી વધુ દુકાનો પણ હશે.



બસ પોર્ટમાં દરેક રૂટની બસોના ડિજીટલ બોર્ડ પણ મૂકવામાં આવશે. આ સાથે વિજય રૂપાણીના હસ્તે બીજા અન્ય વિકાસકાર્યોનું પણ લોકાર્પણ પણ કરવામાં આવશે. બસ પોર્ટની તસવીરો જોતાં એવું લાગે છે કે, ફાઈવ સ્ટાર હોટલને પણ ટક્કર મારે તેવું બસ પોર્ટ તૈયાર કરવામાં આવ્યું છે.



રાજકોટ માટે CM રૂપાણી વધુ એક મોટી જાહેરાત કરી છે. જેમાં તેમણે નવા 2 બસ પોર્ટ બનાવવાની જાહેરાત કરી છે. ભાવનગર રોડ અને જામનગર રોડ પર બસ પોર્ટ બનશે. જેમાં દર વર્ષે નવી 1 હજાર બસ સામેલ કરવામાં આવશે જ્યારે દર વર્ષે જૂની 1 હજાર બસ દૂર કરવામાં આવશે.