રાજકોટઃ કોંગ્રેસના નેતા અને ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાએ લોકડાઉનમાં ગુટકા-પાનમસાલાના બંધાણીઓને તકલીફ પડતી હોવાની વાત કરી હતી અને સૌરાષ્ટ્રમાં રોટલો ન મળે તો ચાલે, ફાકી જોઇએ, તેમ જણાવ્યું હતું. એબીપી અસ્મિતા સાથેની ખાસ વાતચીતમાં કગથરાએ સૌરાષ્ટ્રમાં લોકોને 30-40 દિવસથી ફાકી-તમાકુ-બીડી તમાકુ મળતા ન હોવાનું જણાવ્યું હતું. તેમજ બંધાણી લોકોને ફાકી જોઇએ તેમ જણાવ્યું હતું. જોકે, એબીપી અસ્મિતા દ્વારા આ મુદ્દે તેમને વારંવાર ટકોર કરીને રોકવાનો પ્રયાસ કરાયો હતો. છતાં તેમણે બોલવાનું ચાલું રાખ્યું હતું.


તેમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે, બંધાણી લોકોને ફાકી તો પહેલા જોઇએ. રોટલો ન મળે તો ચાલે. તેમણે ઉમેર્યું હતું કે, વ્યસન દાદાગીરીથી ન છોડાવી શકાય, સમજાવટથી મુકાય. બીચાડાઓની વ્યસન હોવાથી ફાકી તમાકુ ન મળતા નાડી તૂટે છે. નોંધનીય છે કે, ગુજરાતમાં લોકડાઉન દરમિયા સરકાર દ્વારા પાનમસાલાના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેને કારણે બંધાણી લોકોને પાનમસાલા મેળવવામાં મુશ્કેલી થઈ રહી છે.