સૌરાષ્ટ્રમાં કોરોનાનું સતત સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટ શહેરમાં નવા 61 અને જિલ્લામાં કોરોનાના નવા 16 પોઝિટીવ કેસ સાથે રાજકોટ જિલ્લામાં નવા 77 પોઝિટીવ કેસ નોંધાયા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ શહેરો મળીને નવા કુલ 127 પોઝિટીવ કેસ નોંધાયા છે. 


જામનગર જિલ્લામાં 10, જૂનાગઢમાં આઠ, મોરબીમાં કુલ છ, અમરેલીમાં ત્રણ, ગીર સોમનાથમાં ચાર, બોટાદમાં એક, ભાવનગરમાં 13, દેવભૂમિ દ્વારકામાં બે નવા પોઝિટીવ કેસ નોંધાયા છે.  સૌરાષ્ટ્રમાં સતત વધી રહેલા સંક્રમણને લઈને આરોગ્ય વિભાગ પણ સતર્ક થઈ ગયું છે. રાજકોટ સહિતના શહેરોમાં ફરીથી કોરોના વિરોધી રસીકરણ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. 


ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં ગઈકાલે 710 નવા કેસ નોંધાયા હતા જ્યારે 451 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. ગઈકાલે કોરોના સંક્રમણથી રાજ્યમાં એકપણ મૃત્યુ થયું નથી. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4418 લોકોના કોરોનાથી મોત થયા છે.


રાજ્યમાં અત્યાર સુધી 2,67,701 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.03 ટકા પર પહોંચ્યો છે. હાલ 3788 એક્ટિવ કેસ છે, જેમાંથી 49 લોકો વેન્ટિલેટર પર અને 3798 લોકો સ્ટેબલ છે.


વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 17,24,805 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 4,25,371  લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  રાજ્યમાં કુલ 10,135 લોકોને રસી આપવામાં આવી છે.