રાજકોટઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પછી ગુજરાતમાં ફરી એકવાર ગુજરાતમાં કોરોનાએ ઉથલો માર્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં કોરોનાએ ઉથલો મારતાં ફફડાટ ફેલાયો છે. શહેરમાં વધુ 65 પોઝિટિવ કેસ આવતા તંત્ર મૂંઝવણમાં મુકાયું છે. 53 દિવસ બાદ 60થી વધુ કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. 


માર્ચ મહિનામાં છેલ્લા 10 દિવસમાં 450 પોઝિટિવ કેસ નોંધાયા છે. 65 પોઝિટિવ કેસની સામે 47 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, ત્યારે રિકવરી કરતા પોઝિટિવ કેસની સંખ્યા વધારે છે. 


રાજ્યમાં કોરોના ફરી બેકાબૂ બન્યો છે. દિવસેને દિવસે સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 675 નવા કેસ નોંધાયા હતા જ્યારે 484 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. ગઈ કાલે કોરોના સંક્રમણથી રાજ્યમાં એકપણ મૃત્યુ થયું નથી. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4418 લોકોના કોરોનાથી મોત થયા છે.


રાજ્યમાં અત્યાર સુધી 2,67,250 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.11 ટકા પર પહોંચ્યો છે. હાલ 3529 એક્ટિવ કેસ છે, જેમાંથી 47 લોકો વેન્ટિલેટર પર અને 3482 લોકો સ્ટેબલ છે.


ગઈ કાલે સુરત કોર્પોરેશનમાં 161, અમદાવાદ કોર્પોરેશનમાં 141, વડોદરા કોર્પોરેશનમાં 96, રાજકોટ કોર્પોરેશન 65, સુરત 18,  ભાવનગર કોર્પોરેશન-17,  ભરૂચ 15, ખેડા-15, રાજકોટ-14, આણંદ-13, કચ્છ-12, વડોદરા-11,  ગાંધીનગર કોર્પોરેશન, મહેસાણા અને પંચમહાલ 8-8 કેસ નોંધાયા હતા. 


વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 17,13,467 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 4,19,798 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે રાજ્યમાં કુલ 57,277 લોકોને રસી આપવામાં આવી છે.