રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એકાએક કોરોનાના ભરડામાં આવી રહી છે. કુલપતિ નિતિન પેથાણીને કોરોના થયા બાદ સફાળી જાગેલી યુનિવર્સિટીએ તમામ કર્મચારીનું ટેસ્ટિં કરાવતા 16
રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે.


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 147 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં 16 કર્મચારીઓનાં રિપોર્ટ પોઝિટીવ આવ્યા હતા. મેડિકલ ઓફિસર, પરીક્ષા વિભાગ, ઓડિટ વિભાગ, બાંધકામ વિભાગ, એકેડેમિક વિભાગના કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

એક સાથે 16 જેટલા કેસ આવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મુલાકાતીઓ પર પ્રતિબંધ મુકી દેવાયો છે. એનએસયુઆઈએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શરૂ થનારી પરીક્ષા પણ રદ કરવાની માગ કરી છે.

ગુજરાતની વાત કરીએતો ગઈકાલે ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાના 1096 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં વધુ 20 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2930 પર પહોંચ્યો છે. જ્યારે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 88942 થઈ ગઈ છે.

રાજ્યમાં ગઈકાલે 1011 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં સાજા થવાનો દર 80.12 ટકા પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 71261 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. હાલ 14751 એક્ટિવ કેસ છે, જેમાંથી 79 દર્દી વેન્ટીલેટર પર છે અને 14672 લોકો સ્ટેબલ છે.