જામનગર: ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે સૌરાષ્ટ્રમાં પણ કોરોનાનો કહેર યથાવત છે. આજે જામનગર જિલ્લામાં કોરોનાના વધુ 6 કેસ નોંધાયા છે. જેમાંથી 4 જામનગર શહેરમાં અને અન્ય બે ગ્રામ્ય વિસ્તારમાં કેસ નોંધાયા છે. જામનગર જિલ્લા પંચાયતના જુનિયર ક્લાર્કનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ પોઝિટિવ આવતા જે માળ પર કર્મચારી ફરજ બજાવતો હતો તે બંધ કરવામાં આવશે. જિલ્લા પંચાયતને સેનેટાઈઝ કરવાની કામગીરી કરવામાં આવશે અને અન્ય કામગીરીઓ ચાલુ રહેશે, તેમ ડીડીઓએ જણાવ્યું હતું.


સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં વધુ 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અમરેલી અને સાવરકુંડલા શહેરમાં 1-1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અમરેલીના નવા ખીજડિયા અને કુકાવાવના બાંટવા દેવળી ગામમાં 1-1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. અમરેલી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 39 ઉપર પહોંચી છે. જ્યારે અત્યાર સુધીમાં કોરોનાથી 4 વ્યક્તિઓના મોત થયા છે. તેમજ 14 લોકોએ કોરોનાને મ્હાત આપી છે અને હાલ અમરેલી જિલ્લામાં 21 એક્ટીવ કેસ છે.



બોટાદના તુરખા રોડ પર આવેલ હનુમંતપુરીમાં 1 કોરોનાનો કેસ સામે આવ્યો છે. 32 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ સાળંગપુર covid-19 હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બોટાદમાં જીલ્લામાં ટોટલ કોરોનાના 71 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં 11 લોકો સારવાર હેઠળ છે. આજે એક પોઝિટિવ દર્દીને ડિસ્ચાર્જ કરાતા 58 લોકો ડિસ્ચાર્જ, જ્યારે 2ના મોત થયા છે.

આજે રાજકોટ શહેરમાં વધુ એક કેસ નોંધાયો છે. 49 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહિલા દર્દી કોઠારીયા મેઈન રોડ પર આવેલ શ્રદ્ધા પાર્ક સોસાયટીની રહેવાસી છે. દર્દીના નજીકના સંપર્કમાં આવેલ ૧૩ વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઈન કરાયા છે. શહેરમાં કુલ કોરોના પોઝિટિવ કેસ-૧૨૧, સારવાર હેઠળ-૨૫ છે. રાજકોટ જિલ્લાના યાત્રાધામ વીરપુરમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. 13 વર્ષની કિશોરીને કોરોના પોઝિટિવ આવ્યો છે. અમરેલીના સાવરકુંડલા જઈને બાળકી પરત આવેલ છે. આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે.