રાજકોટઃ ગુજરાતમાં કોરોના વાઈરસના બે કેસ પોઝિટિવ આવ્યા હોવાની સત્તાવાર જાહેરાત ગુજરાત સરકારે કરી છે. આ પૈકી એક કેસ રાજકોટમાં નોંધાયો છે. રાજકોટના જંગલેશ્વરમાં રહેતા યુવકને નોવેલ કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાની સત્તાવાર જાહેરાત ગુજરાત સરકારે કરી છે.


રાજકોટના આ 32 વર્ષીય યુવકને મક્કા મદીના અથવા તો યુએઈથી ચેપ લાગ્યો હોવાની શક્યતા છે. આ બંને દેશમાંથી ચોક્કસ કઈ રીતે ચેપ લાગ્યો તે સ્પષ્ટ નથી પણ અહીંથી તે ચેપ લઈને આવ્યો તે સ્પષ્ટ છે.

આ યુવક 21 ફેબ્રુઆરીએ મક્કા મદીના નમાઝ પઢવા ગયો હતો. ઉમરાહ માટે સાઉદી અરેબિયાનો પ્રવાસ કર્યા બાદ આ યુવક યુએઈ થઈને 8 માર્ચે મુંબઈ ઉતર્યો હતો. તેની સાથે તેના પરિવારજનો પણ હતા. ટ્રેન દ્વારા એ લોકો રાજકોટ પહોંચ્યા હતા. રાજકોટ પાછા આવ્યાના ચાર દિવસ પછી એટલે કે 12 માર્ચથી યુવકને હાઇ ગ્રેડ ફીવર (ખૂબ તાવ), બેચેની તથા શ્વાસ લેવામાં તકલીફ જણાયા હતા. આ ઉપરાંત, મૂડ ચેન્જીસ સાથે ચિડચિડિયાપણું આવી ગયું હતું. તેના કારણે સારવાર માટે જતાં તેને આઈસોલેશનમાં રાખીને તેના ટેસ્ટ કરાવાયા હતા. તેમાં તેનો ટેસ્ટ પોઝિટવ આવતાં તેને હવે આઈસોલેશનમાં રખાયો છે.