રાજકોટઃ સૌરાષ્ટ્રમાં વીજળી આપતી સરકારી કંપની પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ)ના એક પરિપત્રના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે. પીજીવીસીએલ દ્વારા અચાનક જ માર્ચ અને એપ્રિલ મહિનાનાં લાઈટ બિલ ભરવાની છેલ્લી તારીખ 30 મે હોવાનો પરિપત્ર બહાર પડાતાં ગભરાયેલા લોકોની પીજીવીસીએલ કચેરી ખાતે લાઈટ બિલ ભરવા માટે ભીડ જામી ગઈ હતી. આ ભીડના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન થતું નથી.


પીજીવીસીએલના પરિપત્રથી લોકો પીજીવીસીએલ કચેરી ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. 30 મે સુધીમાં બિલ નહીં ભરાય તો વધુ ચાર્જ ભરવો પડશે અને દંડ લાગશે એવા ડરને કારણે ગ્રાહકોની ભીડ જામી છે.



આ પહેલાં ગયા મહિને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL ) એ આ વખતે લોકોને લાઈટનું બિલ ઘરે નહીં મોકલવાનો નિર્ણય લીધો હતો. તેના બદલે ગ્રાહકોએ PGVCL ની વેબસાઈટમાંથી પોતપોતાનું બિલ ડાઉનલોડ કરવાનું રહેશે અને પછી આ બિલ ઓનલાઇન ભરી શકાશે એવી જાહેરાત કરાઈ હતી. કોરોનાવાયરસ કટોકટીના કારણે લોકડાઉન હોવાથી લોકોને બહાર નિકળવાની મનાઈ છે. આ કારણે આ નિર્ણય લેવાયો હતો. હવે અચાનક જ કંપની દ્વારા નવો પરિપત્ર બહાર પાડીને બિલો ભરવા ટૂંકી મુદત અપાતાં લોકોની ભીડ ઉમટી છે.

કંપનીએ પોતાના કર્મચારીઓ બિલ વહેંચવા જાય તેના કારણે તેમને તથા ગ્રાહકોને પણ કોરોનાવારસનો ચેપ લાગવાનો ખતરો હોવાથી બિલ આ વખતે ઘરે નહિ મોકલવાનો નિર્ણય લીધો હતો. કંપનીએ સૌરાષ્ટ્રમાં 60 લાખ વીજ ગ્રાહકો માટે પોતપોતાનું બિલ ડાઉનલોડ કરી શકાય અને પછી આ બિલ ઓનલાઇન ભરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવી હોવાની જાહેરાત કરી હતી. કંપનીએ કહ્યું હતું કે, ગ્રાહકો ઓનલાઈન તેનો ગ્રાહક નંબર નાખશે એટલે બિલની વિગત જોવા મળશે. આ ઉપરાંત ગ્રાહકોને 15 મે સુધી બિલ ભરવાની છૂટ આપવામાં આવી હતી.