Gujarat Congress: વિધાનસભાની ચૂંટણીને લઈને આજે ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠક રાજકોટ ખાતે મળી હતી. જેમાં સૌની નજર ધોરાજીના ઘારાસભ્ય લલિત વસોયા પર હતી. કારણ કે છેલ્લા ઘણા સમયથી એવી વાતો સામે આવી રહી છે કે, લલિત વસોયા સહિતના કેટલાક નેતાઓ ભાજપમાં જોડાવાની છે. જો કે આ વાત અંગે ધારાસભ્ય લલિત વસોયાએ ખુલાસો કર્યો છે.


 



રાજકોટમાં ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, મારો નિર્ણય ડંકાની ચોટ પર હોય છે. હું કોંગ્રેસમાં જ રહેવાનો છું અને કોંગ્રેસમાં જ રહીશ. 2022મા કોંગ્રેસે ચૂંટણી લડવા માટે ટિકિટ આપશે તો લડીશ નહીંતર કાર્યકર્તા તરીકે કામ કરીશ. રાજકોટ-ધોરાજીમાં લગાડવામાં આવેલા પોસ્ટરને લઇને લલિત વસોયાએ કહ્યું કે. હું જન્માષ્ટમી પર્વ પર રાજકારણ કરવા માંગતો નથી. જ્યારે પણ પક્ષ છોડવો હશે ત્યારે ડંકાની ચોટ પર કહીશ.


જો કે આજે આ બેઠકમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત હાજર રહી શક્યા નહોતા. ખરાબ હવામાનના કારણે તેમનું વિમાન સુરત એરપોર્ટ પર લેન્ડ થઈ શક્યું નહોતું. આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવવાના હતા અશોક ગહેલોત. વિધાનસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે બેઠકો યોજાવાની હતી. જો કે વરસાદના કારણે તેઓ હાજર રહી શક્યા નહોતા. જેથી ગુજરાત પ્રભારી ડો.રઘુ શર્મા, જગદીશ ઠાકોર, સુખારામ રાઠવાની હાજરીમાં બેઠક શરૂ કરવામાં આવી હતી. ચૂંટણી માટે રણનીતિ બનાવવાથી લઈને ઉમેદવારો નક્કી કરવા સુધીની ચર્ચા બેઠકમાં થઈ હતી. નોંધનિય છે કે, અશોક ગેહલોતને મુખ્ય ચૂંટણી ઓબ્ઝર્વર તરીકેની જવાબદારી સોંપાઈ છે.


રાજકોટમાં કોંગ્રેસની સૌરાષ્ટ્ર જોનની બેઠક હેમુ ગઢવી હોલ ખાતે યોજાઈ હતી. બેઠકમાં સૌરાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્યો હાજર રહ્યા હતા. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને સાંસદો પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં રામ કિશન ઓઝા, અર્જુન મોઢવાડિયા, પરેશ ધાનાણી, લલિત કગથરા, લલિત વસોયા, વીરજી ઠુમ્મર, પ્રતાપ દુધાત, વિક્રમ માડમ, હર્ષદ રીબડિયા, ચિરાગ કાલરીયા, અંબરીશ ડેર, ઋત્વિજ મકવાણા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.


તો બીજી તરફ સૌરાષ્ટ્ર ઝોનની બેઠકમાં શક્તિસિંહે આમ આદમી પાર્ટી પર નિશાન સાંધ્યું હતું. આમ આદમી પાર્ટીનું સાચું નામ અમીર આદમી પાર્ટી છે.  શક્તિસિંહે કાર્યકર્તાઓને ટકોર કરતા કહ્યું કે, જે લોકો નારાજ હોય તેઓ પોતાની નારાજગી વ્યક્ત કરે. નારાજ નેતાઓએ વિચારધારા ન છોડવી જોઇએ. કાર્યકર્તાઓએ એકબીજાને ખેંચવામાં પોતાની તાકાત ન બગાડે, ભાજપ સામે પોતાની તાકાત વ્યક્ત કરે. આ ઉપરાંત પરેશ ધાનાણીએ પણ કેટલીક ટકોર કરી હતી. રાજકોટમાં પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જાહેરમાં લલિત કગથરાને કહ્યું કે. જાવ તો કહેતા જજો ,ખોંખારો ખાઈને કહેતા જજો.