જસદણ વિધાનસભાની પેટાચૂંટણીની તારીખોની જાહેરાત સોમવારે થઇ શકે છે
abpasmita.in | 10 Nov 2018 12:09 PM (IST)
ગાંધીનગરઃ રાજકોટ જસદણ વિધાનસભા પર યોજાનારી પેટાચૂંટણીનો કાર્યક્રમ સોમવારે જાહેર થઇ શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પેટાચૂંટણી માટે 7 અથવા 9 ડિસેમ્બરના રોજ મતદાન થઇ શકે છે. ઉપરાંત 11 ડિસેમ્બરના રોજ પેટાચૂંટણીના પરિણામોની જાહેરાત કરવામાં આવી શકે છે. જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં વિજય મેળવવા માટે ભાજપ અને કોગ્રેસ કમરકસી લીધી છે. ભાજપ તરફથી મંત્રી કુંવરજી બાવળિયા ઉમેદવાર છે. મંત્રી કુંવરજી બાવળિયાને જીતાડવા માટે સૌરાષ્ટ્રના બે મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે. સાથે જ સાંસદ મોહન કુંડારિયા તેમજ કોળી સમાજના દિગ્ગજ નેતા હિરાભાઇ સોલંકી સહિત 13 નેતાઓની ફોજ ભાજપે મેદાનમાં ઉતારી છે. તો બીજી તરફ કોગ્રેસમાં હજુ ઉમેદવારને લઇને જૂથવાદ ચાલી રહ્યો હોવાનું માનવામાં આવે છે. સૂત્રોના મતે કોગ્રેસ ભોળાભાઇ ગોહિલ અને અવચર નાકિયાના નામ પર વિચાર કરી રહી છે. સૂત્રોના મતે ભાજપના કુંવરજી બાવળિયા સામે કોગ્રેસ તરફથી ભોળાભાઈ ગોહિલનું નામ નિશ્ચિત હોવાનું મનાઈ રહ્યું છે.પરંતુ હાલમાં કોગ્રેસમાં ઉમેદવારને લઇને જંગ ચાલી રહ્યો છે.