Gondal Chilli: રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની મબલખ આવક થઇ. મરચાની 85 હજાર ભારીની આવકથી યાર્ડ ઉભરાયું હતું. યાર્ડ બહાર મરચાં ભરેલા 1700 થી 1800 વાહનોની લાંબી કતાર જોવા મળી છે. અમુક ખેડૂતો તો લુપ્ત થતા બળદગાડામાં મરચાં વેચવા માટે યાર્ડમાં આવ્યા હતા. ગગડતી બજાર વચ્ચે હરાજીમાં મરચાંના 20 કિલોના ભાવ એક હજારથી ત્રણ હજાર 300 સુધી બોલાયા હતા. અત્યાર સુધીમાં મરચાંના ભાવમાં રૂપિયા બે હજારનો ઘટાડો નોંધાયો છે.


ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા


ડુંગળીની નિકાસ પર સરકાર દ્વારા પ્રતિબંધ લગાવાતા ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા તો બીજી બાજુ ગ્રાહકો લૂંટાઈ રહ્યા છે. ડુંગળીના ભાવ તળિયા આવી જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ ગ્રાહકો બજારમાંથી મોંઘા ભાવે ડુંગળી ખરીદવા મજબૂર બન્યા છે. નિકાસબંધી બાદ ડુંગળીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ખેડૂતો એક કિલો ડુંગળી માત્ર પાંચ રૂપિયામાં વેંચી રહ્યા છે. પરંતુ તે જ ડુંગળી જ્યારે ખુલ્લા બજારમાં આવે છે. ત્યારે ગ્રાહકોને પ્રતિ કિલોએ 40 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. એટલે કે એક કિલો ડુંગળીમાં વેપારીઓના ખિસ્સામાં 35 રૂપિયા જાય છે.


ખેડૂતોનું કહેવું છે કે ડુંગળી નિકાસબંધી પહેલા 700થી 800 રૂપિયે મણ વેચાતી હતી. પરંતુ તેના હવે 100 રૂપિયા પણ મળી રહ્યા નથી. પરંતુ નફાખોરી કરીને છુટક બજારમાં વેપારીઓ ઉંચા બાવ લઈ રહ્યા છે. ખેડૂતોની માગ છે કે સરકાર નિકાબંધી ઉઠાવી લે અથવા તો રાજ્ય સરકાર પોષણક્ષમ ભાવ આપે.


રાજકોટ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની જંગી આવત થતા ભાવ તળિયે આવી ગયા છે. યાર્ડમાં ડુંગળીની 1.50 લાખ કટ્ટાની આવક નોંધાઈ હતી. યાર્ડમાં ડુંગળીની આવક થાય તે પહેલા યાર્ડ બહાર બંને બાજુ વાહનોની 3 થી 4 કિલોમીટર લાંબી કતારો જોવા મળી હતી. ડુંગળીની નિકાસબંધી અને આવક વધુ થતા હરાજીમાં ડુંગળીના ભાવમાં કડાકો બોલી જવા પામ્યો છે. હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવમાં રૂપિયા 200નો ઘટાડો જોવા મળ્યો છે. હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 100/- થી લઈને 300/- સુધીના બોલાયા છે. ડુંગળીના ગગડતા ભાવે જગતાતને રાતા પાણીએ રડાવ્યા છે.


કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધના કારણે તેની જથ્થાબંધ કિંમતો સતત ઘટી રહી છે. જેના કારણે છૂટક બજારમાં પણ ડુંગળીના ભાવમાં ઘટાડો થયો છે. મહારાષ્ટ્રની લાસલગાંવ એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)માં ગુરુવારે સતત ત્રીજા દિવસે ડુંગળીના સરેરાશ જથ્થાબંધ ભાવમાં ઘટાડો નોંધાયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુરુવારે આ બજારમાં ડુંગળીના જથ્થાબંધ ભાવમાં લગભગ 10 ટકાનો ઘટાડો નોંધાયો હતો. વેપારીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં ડુંગળીના ભાવમાં વધુ ઘટાડો થઈ શકે છે.