હાર્દિક પટેલને ભાજપ સરકારે શું આપી મોટી રાહત ? રૂપાણી સરકારે શું લીધો મહત્વનો નિર્ણય ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 12 Oct 2020 11:49 AM (IST)
સરકારી વકીલ કેસ પાછો ખેંચવાના કાગળો લઈ ટંકારા કોર્ટ પહોંચ્યા હતા. કાગળો કોર્ટમાં રજૂ કરતા હવે આ કેસ નહીં ચાલે, ત્યારે મોરબી વિધાનસભાની પેટાચૂંટણી પહેલા પાટીદાર નેતાઓને મોટી રાહત મળી છે.
મોરબી: ટંકારામાં 2017માં મંજૂરી વગર કરેલી જાહેરસભાનો કેસમાં ભાજપ સરકારે હાર્દિક પટેલ, લલિત વસોયા અને લલિત કગથરાને મોટી રાહત આપી છે. રૂપાણી સરકારે 2017 સમયે કેસ પરત ખેંચ્યો હતો. સરકારી વકીલ કેસ પાછો ખેંચવાના કાગળો લઈ ટંકારા કોર્ટ પહોંચ્યા હતા. કાગળો કોર્ટમાં રજૂ કરતા હવે આ કેસ નહીં ચાલે, ત્યારે મોરબી વિધાનસભાની પેટાચૂંટણી પહેલા પાટીદાર નેતાઓને મોટી રાહત મળી છે. આજે કોર્ટનું તેડું આવતાં હાર્દિક પટેલ, લલિત વસોયા અને લલિત કગથરા કોર્ટમાં હાજ રહ્યા હતા. 2015માં શરૂ થયેલા પાટીદાર આંદોલનથી ભેગા થયેલા તમામ નેતાઓ સામે આ કેસ નોંધાયો હતો. 2017ની ચૂંટણી પહેલા આ નેતાઓ ભાજપ સામે પ્રચાર કરતા હતા તે વખતનો કેસ છે. ચૂંટણીના પ્રચાર માટે જ ભેગા થયેલા પાટીદાર અનામત આંદોલનના નેતાઓ પર કેસ થયો હતો. 2017માં મંજૂરી વગર સભા કરવાના કેસમાં ટંકારાની કોર્ટે કોંગ્રેસ-પાસના આગેવાનોને તેડું મોકલ્યું હતું. જોકે, સરકારે આ કેસ પરત ખેંચતા મોટી રાહત મળી છે. ટંકારા કોર્ટે હાર્દિક પટેલ, લલિત વસોયા, લલિત કગથરા, દિલીપ સાંબવા, ગીતા પટેલ, રેશ્મા પટેલ, કિશોર ચીખલીયા, મહેશ રાજકોટીયા અને નિલેશ એરવાડિયાને તેડું મોકલ્યું હતું. ટંકારા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૭માં કુલ ૩૦ જેટલા લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. હાથરસમાં બનેલી ઘટનાને લઈ થોડા દિવસ પહેલા કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં કોચરબ આશ્રમ ખાતે કોંગ્રેસ દ્વારા પ્રતિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ હાજર રહે તે પહેલા જ તેમના નિવાસ સ્થાનેથી અટકાયત કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરનું વોરંટ બતાવી હાર્દિકની અટકાયત કરવામાં આવી હતી. જે બાદ તેને સાંતેજ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. હાર્દિકને 4 તારીખનું વોરંટ હતું તે બતાવી અટકાયત કરાઈ હતી.