Rajkot News: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટએટેકના પ્રમાણમાં ચોંકાવનારો વધારો થયો છે. રાજકોટમાં ખોડલધામના ટ્રસ્ટી કલ્પેશ તંતી (ઉ.વ.46)નું હાર્ટએટેકથી નિધન થતાં લેઉવા પાટીદાર સમાજમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. રાજકોટના નાના મવા રોડ પર રાજ રેસીડેન્સીમાં દીવો કરવા ગયા હતા, 25 મિનિટ સુધી નીચે ન આવતા પરિવાર ત્યાં ગયો ત્યારે બેભાન હાલતમાં મળી આવ્યા હતા. જે બાદ તાત્કાલિક તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.  જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યા હતા.


રાજકોટના નાના મવા રોડ પર શ્રીરાજ રેસિડન્સીમાં 46 વર્ષીય કલ્પેશભાઈ તંતીનો પરિવાર રહે છે. તેઓ તુલસીપત્ર બંગલોમાં રહે છે. ગઈકાલે સાંજે પોણા આઠ વાગ્યાની આસપાસ તેઓ બંગલોના બીજા માળે ભગવાનની સાંજની પૂજા કરવા ગયા હતા. પરંતું લગભગ અડધા કલાક સુધી તેઓ નીચે આવ્યા ન હતા. તેથી પરિવારજનોએ તેમને નીચેથી બૂમો પાડી હતી, પરંતુ કોઈ જવાબ આવ્યો ન હતો. તેથી તેમને ઉપર જોવા ગયા, તો કલ્પેશભાઈ જમીન પર બેભાન હાલતમાં પડ્યા હતા. જેથી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા.




થોડા દિવસો પહેલા સુરેન્દ્રનગરના પાટડી શહેર ભાજપ ઉપપ્રમુખ અને નગરપાલિકાના પૂર્વ યુવા સભ્ય રાજુભાઈ ઠાકોરની તબિયત લથડતાં પાટડી સરકારી હોસ્પિટલે દવા લેવા ગયા હતા. તે દરમિયાન હોસ્પિટલમાં જ હૃદયરોગનો હુમલો આવતા મોત થયું હતું. રાજુભાઈના નિધનથી પરિવારજનો સહિત ગામમાં શોકની લાગણી ફેલાઈ હતી. 39 વર્ષની નાની વયે હાર્ટ એટેકથી મોત નિપજતા પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું હતુ. આ ઘટનાની જાણ થતાં ધારાસભ્ય સહિત ભાજપના આગેવાનોએ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. રાત્રે મિત્રો સાથે વાતો કર્યા બાદ મોડીરાત્રે ઘેર પહોંચતા હાથમાં દુ:ખાવો થતાં જાતે મોટરસાયકલ લઇ પાટડી સરકારી હોસ્પિટલે દવા લેવા ગયા હતા. પાટડી સરકારી હોસ્પિટલના બાકડે જ જોરદાર હ્રદયરોગનો હુમલો આવતા તેઓ ત્યાંજ ઢળી પડ્યાં હતા. સ્વભાવે સોમ્ય, સદા હસમુખા અને હર હંમેશ સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર રહેતા રાજુભાઇ ઠાકોરે નાની ઉંમરમાં જ ખુબ નામના મેળવી હતી. થોડા દિવસો અગાઉ પાટડી શહેર ભાજપ યુવા પ્રમુખ નરેન્દ્ર ગઢવીનું પણ હ્રદયરોગના હુમલાથી નાનીવયે આકસ્મિક અવસાન થયું હતુ. તાજેતરમાં રાજ્યમાં એક જ દિવસમાં બે કિશોરના હાર્ટ એટેકથી મોત થયા હતા. જુનાગઢ જિલ્લાના ગળુ નજીક આવેલા ચોરવાડમાં 17 વર્ષીય કિશોર નારિયેળીના બગીચામાં કામ કરતો હતો ત્યારે હાર્ટએટેક આવ્યો હતો. જેમાં તેનું નિધન થયું હતું. 17 વર્ષીય જીગ્નેશ વાજાના નિધનથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. રાજકોટમાં અઠવાડિયામાં બીજી વખત એક વિદ્યાર્થીનું હાર્ટએટેકથી મોત થયું હતું. રાજકોટની SGVP ગુરુકુળમાં ધોરણ 10 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી સ્ટેજપર સ્પીચ આપતા આપતા બેભાન થયો હતો. ધોરણ 10 માં અભ્યાસ કરતો દેવાંશ વિંટુભાઈ ભાયાણી સ્પીચ આપતો હતો ત્યારે બેભાન થઈને ઢળી પડ્યો હતો. જે બાદ તેને બેભાન હાલતમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું.