અમરેલી: અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં લઈ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમરેલી શહેરી વિસ્તારમાં આગામી તારીખ 20 થી 25 જુલાઈ સુધી ચા-નાસ્તાની લારી અને પાન મસાલાની દુકાનો સદંતર બંધ રાખવા કલેક્ટરે જાહેરનામું બાહર પાડ્યું છે. 25 જુલાઈ બાદ શરૂ કરવા માંગતા વેપારીઓએ ફરજિયાત હેલ્થ કાર્ડ મેળવવાનું રહેશે. કલેક્ટરઆયુષ ઓકે ચાવંડ ચેકપોસ્ટ ફરી કાર્યરત કર્યા બાદ વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે.


આ અંગે વધુ વાત કરતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં કોરોના સંક્રમણના કેસોમાં વધારો થઈ રહ્યો છે. આ સંક્રમણને નિયંત્રણમાં લેવા વહીવટી તંત્ર દ્વારા તારીખ 20થી 25 જુલાઈ સુધી ચા-નાસ્તાની લારી અને પાન-ગલ્લા બંધ કરાવવામાં આવશે. આ ઉપરાંત અન્ય વેપારીઓને આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ કાર્ડ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ હેલ્થ કાર્ડની 14 દિવસની માન્યતા હશે. આ કાર્ડની અવધિ પૂર્ણ થયા બાદ ફરી રીન્યુ કરાવવાનું રહેશે. આ સંપૂર્ણ કામગીરી તાજેતરમાં લોકર્પણ કરવામાં આવેલા નવા જિલ્લા પંચાયત ભવનના પ્રથમ માળે કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે અમરેલીના શહેરી વિસ્તારમાં પાન-ગલ્લા અને ચાની લારી ઉપર લોકો બિનજરૂરી ટોળા વળીને ઉભા રહે છે અને સોશ્યલ ડિસ્ટનસિંગના નિયમોનું બરાબર પાલન થતું નથી એવું તંત્રને ધ્યાને આવ્યુ છે. જેના અનુસંધાને અમરેલી શહેરીના કેટલાક વિસ્તારમાં પાન-ગલ્લા અને ચાની લારીઓ થોડા સમય માટે બંધ રાખવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમરેલીમાં કોરોનાના કુલ 206 કેસ નોંધાયા છે.