India vs England 3rd Test: ભારતીય ક્રિકેટ ટીમ ત્રીજી ટેસ્ટ માટે રાજકોટ પહોંચી ગઈ છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે. ભારતીય ટીમ ત્રીજી ટેસ્ટ માટે રાજકોટમાં 10 દિવસ રોકાશે. ટીમ ઈન્ડિયાનું અહીં સારી રીતે ધ્યાન રાખવામાં આવશે. કેપ્ટન રોહિત શર્મા માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.


ભારતીય ટીમ ત્રીજી ટેસ્ટ માટે 11 ફેબ્રુઆરીએ રાજકોટ પહોંચી હતી. હવે રોહિત બ્રિગેડ 20 ફેબ્રુઆરીએ અહીંથી ટેક ઓફ કરશે. ટીમ ઈન્ડિયા માટે રાજકોટમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં ભારતીય ખેલાડીઓ સયાજી હોટલમાં રોકાયા છે. રાજકોટમાં ભારતીય ખેલાડીઓનું જોરદાર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ અહીં ગુજરાતી અને સૌરાષ્ટ્રના ખાસ કાઠિયાવાડી ફૂડની મજા માણી રહ્યા છે. 


રોહિત શર્મા અને કેએલ રાહુલ માટે ખાસ રૂમ


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સયાજી હોટલમાં ભારતીય ખેલાડીઓ માટે ખાવા-પીવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કેપ્ટન રોહિત શર્મા અને વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ માટે હેરિટેજ થીમ પર એક ખાસ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. હોટેલ ડિરેક્ટરે ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ભારતીય ખેલાડીઓનું અહીં ખાસ ગરબા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે એમ પણ જણાવ્યું કે ભારતીય ખેલાડીઓ માટે ભોજનની ખાસ વ્યવસ્થા છે.


જાણો ટીમ ઈન્ડિયાનું ફૂડ મેનુ


ઈન્ટરવ્યૂમાં હોટલ ડાયરેક્ટરે એમ પણ કહ્યું હતું કે ખેલાડીઓના ભોજનને લઈને BCCI તરફથી સૂચનાઓ આવી છે. આવી સ્થિતિમાં ખેલાડીઓ માટે આ જ રીતે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. ભારતીય ખેલાડીઓને નાસ્તામાં જલેબી અને ફાફડા આપવામાં આવશે. લંચમાં ખાસ થાળી હશે, જેમાં ગુજરાતી વાનગીઓ હશે. આ ઉપરાંત ડિનરમાં ભારતીય ખેલાડીઓને ખાખરા, ગાંઠિયા, થેપલા અને દહીં તિખારી જેવી વાનગીઓ પીરસવામાં આવશે. ડિનરમાં ખીચડી કઢી અને રોટલો પણ સામેલ છે.