રાજકોટ: આજકાલ શહેરમાં ક્રાઈમનો રેસિયો વધ્યો છે. દિન-દહાડે અજાણ્યો શખ્સો નિર્દોષ વ્યક્તિઓ ઉપર ફાયરિંગ કરતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો રાજકોટમાં બન્યો છે. જામનગર રોડ પર આવેલા શેઠ નગરવિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્ધારા એક વ્યક્તિ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. જેને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સ્થાનિક લોકોએ ઘટનાની જાણકારી પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને ફાયરિંગ કરતા શખ્સો કોણ અને ક્યાંથી આવ્યા હતા, તે સંદર્ભે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


રાજકોટમાં થયેલા ફાયરિંગના પગલે રાજકોટ ફરી એકવખત ક્રાઈમ કેપિટલ બન્યું છે. છેલ્લાં 21 દિવસમાં રાજકોટમાં 10 લોકોની હત્યા થઈ છે. અને છેલ્લાં 36 કલાકમાં 2 હત્યાઓ સામે આવી છે. આજના ફાયરિંગ બાદ રાજકોટવાસીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલ લોકોના મોઢે એવું ચર્ચાઈ રહ્યું છે કે પોલીસની ઢીલી નીતિના કારણે લુખ્ખા અને અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. રાજકોટમાં ફાયરિંગની ઘટના પછી પોલીસ કમિશ્નર ઘાયલ થયેલા વ્યક્તિની ખબર અંતર પુછવા સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા છે.