રાજકોટ: ગુજરાતમાં દારુબંધીને લઈને અનેક સવાલો ઉઠતા રહે છે.અનેક પ્રયાસો છતા રાજ્યનાં દારુના વેંચાણ પર પૂર્ણ પ્રતિબંધો લાદી શકાયા નથી. તો બીજી તરફ પોલીસની કામગીરીને લઈને પણ અનેક વખત સવાલો ઉઠી ચૂક્યા છે. લોકોનો આરોપ છે કે, પોલીસની ઢીલી કામગીરીને કારણે દારુનો વેપલો ચાલી રહ્યો છે.હવે આવી જ ઘટના સામે આવી છે રાજકોટના ઉપલેટામાં.


ઉપલેટામાં સ્થાનિક પોલીસની ઢીલી નીતિથી ત્રસ્ત થઈને કારખાનેદારો દ્વારા જનતા રેડ કરી દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.  ઉપલેટા શહેરના પોરબંદર નેશનલ હાઇવે પર આવેલ કારખાનેદારોએ જનતા રેડ કરીને દેશી દારૂ ઝડપી પાડયો હોવાનું સામે આવ્યું છે. પોરબંદર રોડ પર આવેલ ઈસરા પાટીયા પાસેના કારખાનેદારોએ એકત્ર થઈને દેશી દારૂના વેચાણ પર જનતા રેડ કરી હતી.


અહીંયા છેલ્લા ઘણા સમયથી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હોવાનું કારખાનેદારોએ જણાવ્યું છે. દારૂના વેચાણ અંગેની અનેક ફરિયાદ બાદ પોલીસ દ્વારા કોઈ એક્શન નહિ લેવાતા જનતા રેડ કરવામાં આવી હતી. જનતા રેડ કરી કારખાનેદારો દ્વારા દારૂનો જથ્થો ઝડપી લઈને પોલીસને જાણ કરતા અંતે પોલીસ દોડી આવી હતી. પોલીસ દ્વારા દારૂના જથ્થા સાથે બે ઈસમોને પકડી ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ સાથે લઈ ગયા હોવાનું સામે આવ્યું છે. જનતા રેડ બાદ કારખાનેદારો એકત્ર થઈને ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે લેખિત રજૂઆત કરવા પહોંચ્યા હતા. કારખાનેદારો દ્વારા દારૂના વેચાણને અને દૂષણને કાયમી બંધ કરાવવા લેખિત રજૂઆત કરી છે.


અમદાવાદ: બનાવટી દવાઓ બનાવતી ફેક્ટરી અને તેના રાજ્યવ્યાપી વેચાણના રેકેટનો પર્દાફાશ થયો છે. ગુજરાત ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. રાજ્યમાં દવાના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે અને ગેરકાયદેસર – બનાવટી દવાના વેચાણમાં સંકળાયેલ ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. 


જેના ભાગરૂપે તાજેતરમાં ડૉ. એચ. જી. કોશીયાના માર્ગદર્શન હેઠળ મુખ્ય કચેરી, ગાંધીનગરના  આર. એમ. પટેલ નાયબ કમિશનર (આઇ.બી.),  વાય. જી. દરજી, નાયબ કમિશનર (મુખ્ય મથક), વી. ડી. ડોબરીયા, મદદનીશ કમિશનર, અમદાવાદ ગ્રામ્ય, પ્રવર ઔષધ નિરીક્ષક એમ. આર. મુગલપુરા અને તંત્રના અન્ય અધિકારીઓએ સાથે રહી ગેરકાયદેસર વગર પરવાને તેમજ બનાવટી દવાઓ બનાવતી બોગસ ફેક્ટરી મે. ફાર્માકેમ, મહારાજા હાઉસ, સેફ એક્ષપ્રેસની પાછળ, ચાંગોદર, અમદાવાદ ખાતે દિવ્યેશ જાગાણી નામના ઇસમે અન્ય કંપનીના નામ તથા પરવાના નંબરનો ઉપયોગ કરી કોઇપણ જાતના લાયસન્‍સ વગર ગેરકાયદેસર રીતે એન્ટીબાયોટીક દવાઓ બનાવતી ફેક્ટરી ઉભી કરી ટેબલેટ બનાવવાના જરૂરી મશીનો વસાવી મે. ફાર્માકેમ, અમદાવાદ ખાતેથી મે. પાઇકન ફાર્મા પ્રા. લી. માર્કેટીંગ પેઢીને બનાવટી-સ્પુરીયસ એન્‍ટીબાયોટીક્સ સહીતની દવાઓનું ઉત્પાદન કરી વેચાણ કરતા તંત્રની ટીમે ઝડપી પાડેલ અને તેઓને ત્યાંથી દવાઓના નમુના લીધા બાદ દવા બનાવવાનો કાચો માલ, મશીન, બનાવટી દવાઓ, પેકીંગ મટીરીયલ અને અન્ય સાધન સામગ્રી જપ્ત કરી છે.