જૂનાગઢઃ શહેરના મંગલધામમાં વકીલની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. વકીલની હત્યા તેની જ પત્નીએ કરી હોવાનો ખુલાસો થતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. પતિની હત્યા કરવા માટે પહેલા તો કોફીમાં ઝેર આપ્યું હતું. આમ છતાં તેનું મોત ન થતાં અડધી રાતે છરીથી ગળું કાપી હત્યાને અંજામ આપ્યો હતો. ત્યારબાદ સમગ્ર બનાવને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસની આકરી પૂછપરછ દરમિયાન પત્ની ભાંગી પડી હતી અને પતિની પોતે જ હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી. પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


આ અંગેની વિગતો એવી છે કે, જૂનાગઢમાં એડવોકેટ નિલેશ દાફડાની સોમવારે લોહીલુહાણ હાલતમાં તેના ઘરમાંથી જ લોહીલૂહાણ હાલતમાં લાશ મળી આવી હતી. લાશ નજીકથી એક છરી પણ મળી આવી હતી. પત્ની કાજલે પતિએ આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસને જણાવ્યું હતું. જો કે, પોલીસને પત્નીની વાત ગળે ઉતરી ના હતી. પોલીસે કડક પૂછપરછ કરતા પોતે જ પતિ દ્વારા થતા ઝઘડા અને મારકૂટથી કંટાળી હત્યા નિપજાવી હોવાની કબૂલાત આપી હતી.


પત્ની કાજલે બે દિવસ પહેલા જ વકીલ પતિની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. જે પ્રમાણે 5 સપ્ટેમ્બરે સાંજે પતિને કોફીમાં ઝેર આપી પીવડાવ્યું હતું. પરંતુ કોઈ અસર ના થતા તેનો બચાવ થયો હતો. આ પછી રાતે 2થી અઢી વાગ્યાના અરસામાં પતિ ઊંઘી રહ્યા હતા ત્યારે કાજલે છરીથી પતિનું ગળું અને હાથ કાપીને ઠંડે કલેજે હત્યા નિપજાવી હતી. આ પછી આખી રાત પતિની લાશ પાસે જ બેસી રહી હતી. 


પતિ નશો કરી તેના પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતો હોય તેનાથી છુટકારો મેળવવા હત્યા નિપજાવ્યાની પોલીસને કબૂલાત આપી હતી.આ હત્‍યા અંગે મૃતકની બહેને તેની ભાભી કાજલ દાફડા સામે હત્યાની ફરિયાદ નોધાવી છે. જ્યારે સી ડિવિઝન પોલીસે હત્યારી પત્ની કાજલ દાફડાને ઝડપી લઈને હત્યાના કેસમાં બીજું કોઈ સંકળાયેલું છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.


ખૂદ પત્નીએ જ પોતાના પતિની હત્યા નિપજાવતા સૌથી વધુ કફોડી હાલત 8 વર્ષીય પુત્ર અને 2 વર્ષીય દીકરીની થઈ છે. પિતાના મોત બાદ માતા સામે જ હત્યાનો ગુનો નોંધાતા બે જ દિવસમાં બંને માસૂમ સંતાનોએ માતાપિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.