જૂનાગઢઃ જૂનાગઢમાં પરિણિત યુવતીએ એક યુવક સાથે સંબંધો હોવા છતાં બીજા યુવક સાથે સંબંધો બાંધ્યા હતા અને તેની સાથે ભાગી ગઈ હતી. પ્રેમીને આ વાતે ગુસ્સો આવતાં તેણે પ્રેમિકાની જાહેરમાં હત્યા કરી નાંખી હોવાની ચોંકાવનારી ઘટના બની છે.


પોલીસે જણાવ્યા મુજબ જૂનાગઢમાં દોલતપરામાં જીઆઇડીસી-૨માં રહેતી ભાવનાબેન ભગવાનજીભાઈ કોળી (ઉ.વ. 37) નામની યુવતી સોમવારે બપોરે એક દુકાને શાકભાજી લેવા માટે આવી હતી, ત્યારે પાછળથી આવી ચડેલા લાઠીના સંજય પ્રવીણભાઈ ગોસ્વામીએ છરી વડે હુમલો કર્યો હતો. તેણે  આડેધડ ઘા ઝીંકી દેતા ભાવના સ્થળ પર જ નીચે ઢળી પડી હતીઅને મોતને ભેટી હતી. સંજય ગોસ્વામી ભાગવાના બદલે સ્થળ પર ઉભો રહ્યો હતો.  હત્યાની જાણ થતાં દોલતપરા ચોકીથી મહિલા પીએસઆઈ વી.આર.ચાવડા સ્થળ પર દોડી આવી સંજયના હાથમાંથી છરી આંચકી લઈને તેને પકડી લીધો હતો.

પોલીસ તપાસમાં બહાર આઈવેલી વિગતો પ્રમાણે સંજય અને ભાવના વચ્ચે છેલ્લા 6 વર્ષથી પ્રેમ સંબંધ હતો. સંજય લાઠીમાં હીરા ઘસવાનું કામ કરતો.  ભાવનાના લગ્ન થઈ ગયા હતાં છતાં બંને વચ્ચે સંબંધો હતા. છ વર્ષ ભાવનાને બીજા પુરૂષ સાથે પણ સંબંધ બંધાયા હતા અને 9 મહિના પહેલાં  અન્ય કોઈ પ્રેમી સાથે ભાગી ગઈ હતી. સંજય ત્યારથી ભાવનાને શોધતો હતો, અને તે જૂનાગઢ રહેતી હોવાની જાણ થતા તેની હત્યા કરી દીધી હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે.

ભાવનાને સંતાનમાં 13 વર્ષની દીકરી, 9 વર્ષનો દીકરો અને ૭ વર્ષની દીકરી છે. મોટા બંને સંતાન તેના   પતિ સાથે રહે છે, જયારે નાની દીકરી તેની સાથે રહેતી હતી.