અમરેલીમાં ધોધમાર વરસાદઃ કમીગઢની નદીમાં પૂર આવતાં કોઝવે પર ફરી વળ્યા પાણી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 30 Sep 2019 09:21 AM (IST)
સૌરાષ્ટ્રમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેને કારણે ડેમો ઓવરફ્લો થયો છે. જોકે, ખેડૂતોના પાકને વ્યાપક નૂકસાન થયું છે.
અમરેલીઃ હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમરેલી જિલ્લામાં પણ ગઈ કાલે આખી રાત વરસાદ પડ્યો હતો. અમરેલી, સાવરકુંડલા, ખાંભા, ધારી, રાજુલા, જાફરાબાદ, લાઠી, બાબરા, બગસરા કુંકાવાવમાં આખી રાત ધીમીધારે વરસાદ પડ્યો હતો. જેને કારણે ખોડિયાર ડેમ, રાયડી ડેમ, સુરવો ડેમ પાણીથી છલોછલ થઈ ગયા છે. જોકે, સતત વરસાદથી જગતના તાત મુશ્કેલીમાં મુકાયા છે. અમરેલીના કમીગઢની સ્થાનિક નદીમાં પૂર આવતા કમીગઢ જવાનો રસ્તો હાલ બંધ થયો છે. કોઝવે પર પાણી ફરી વળતા કમીગઢ ગામ જવાનો માર્ગ બંધ થયો છે. અમરેલીના વાડીયામાં છેલ્લા 24 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.