આવતીકાલે ખોડલધામ - કાગવડ ખાતે લેઉવા અને કડવા પાટીદાર સમાજના આગેવાનો વચ્ચે બેઠક યોજાશે. ક્યાં હેતુસર આ બેઠક યોજાવાની છે તે અંગે ટ્રસ્ટ દ્વારા હાલ કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરાયુ નથી. બેઠકમાં વિશ્વ ઉમિયાધામ ટ્રસ્ટ - અમદાવાદ, ઊંઝા, સિદસર, સમસ્ત પાટીદાર સમાજ - સુરત સહિતની રાજ્યની કડવા પાટીદાર સમાજની ૭ સંસ્થાઓના ટ્રસ્ટીઓ હાજરી આપશે.


મળતી વિગત મુજબ આવતીકાલે સવારે 10 વાગ્યે ખોડલધામ ખાતે કડવા પાટીદાર સંસ્થાઓના ટ્રસ્ટીઓ - આગેવાનો કાગવડ ખાતે ખોડલધામ પહોંચશે અહીં મંદિર ખાતે માતાજીના દર્શન કર્યા બાદ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ સહિતના લેઉવા પાટીદાર આગેવાનો સાથે કડવા પાટીદાર આગેવાનોની બેઠક યોજાશે. 


અગાઉ, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પૂર્વે ખોડલધામના ટ્રસ્ટીઓએ ઉમિયાધામ ઊંઝાની મુલાકાત લીધી હતી. 2022 વિધાનસભા ચૂંટણી પૂર્વે કડવા - લેઉવા પાટીદાર સમાજના આગેવાનો વચ્ચેની બેઠકને સૂચક માનવામાં આવી રહી છે.