Lok Sabha Election: રાજ્યમાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા ક્ષત્રિય આંદોલનને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં હવે ક્ષત્રિય સમાજ કોંગ્રેસની સાથે જોડાયો છે. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજાએ જણાવ્યું છે કે, એક મહિના બાદ હવે ક્ષત્રિય સમાજે કોંગ્રેસને સમર્થન જાહેર કર્યુ છે. ભાજપે રૂપાલાની ટિકીટ પાછી ના ખેંચી તેથી અમે કોંગ્રેસને સમર્થન જાહેર કર્યુ છે. ઉલ્લેખનીય છે કે, ભાજપના રાજકોટ બેઠક પરના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ એક શ્રદ્ધાંજલિ સભામાં ક્ષત્રિય બહેનો વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી, જે પછી ક્ષત્રિય સમાજે તેને વખોડી કાઢ્યુ હતુ, અને વિરોધ શરૂ કરાયો હતો. 


છેલ્લા બે મહિનાથી પણ વધુ સમયથી ચાલી રહેલા ક્ષત્રિય સમાજના આંદોલનને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપ નેતા જયરાજસિંહ જાડેજાએ કેટલાક આરોપો લગાવ્યા હતા, જેને સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજાએ વખોડી કાઢ્યા હતા, અને હવે પીટી જાડેજાએ જણાવ્યું છે કે, ક્ષત્રિય સમાજે કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું છે. 


માહિતી પ્રમાણે, હાલમાં જ ભાજપ નેતા જયરાજસિંહ જાડેજાએ કેટલાક આરોપ લગાવ્યા હતા, તેને લઇને હવે પી.ટી.જાડેજા જવાબ આપ્યો છે. પીટી જાડેજાએ જણાવ્યું કે, સંકલન સમિતિનો એકપણ સભ્ય કોઈ પક્ષ સાથે નથી જોડાયેલો, એક મહિના પછી સંકલન સમિતિએ કોંગ્રેસને સમર્થન જાહેર કર્યુ હતુ. ભાજપે રૂપાલાની ટિકિટ પાછી ના ખેંચતા સમર્થન જાહેર કર્યુ હતુ. પીટી જાડેજાએ સ્પષ્ટતા સાથે જણાવ્યું કે, અમે કોઈ પક્ષનો પટ્ટો પહેરીને નથી ફરતા, અમે માત્ર ક્ષત્રિય સમાજનો પટ્ટો પહેર્યો છે. 


ઉલ્લેખનીય છે કે, આ પહેલા ભાજપ નેતા જયરાજસિંહ જાડેજાએ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના સભ્યો પર આરોપ લગાવ્યા હતા કે, તેઓ કોંગ્રેસ સાથે છે. ગોંડલના પૂર્વ ધારાસભ્યએ ગોંડલમાં ક્ષત્રિય આંદોલનની કોઇ અસર નહીં થાય. આ સમગ્ર ક્ષત્રિય આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે. આરોપ લગાવતા કહ્યું હતું કે, મંચ પર ભાષણ આપનારા આગેવાનો કોંગ્રેસ સાથે જોડાયેલા છે.


'હવે તલવાર ઉપાડવાની જરૂર નથી, ક્ષત્રિય સમાજના મત ભાજપની સાથે છે' - ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની ક્ષત્રિયો સાથે બેઠક


રાજ્યમાં લોકસભા ચૂંટણી માટેનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યૂ છે. પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે, 7 મેએ ગુજરાતમાં તમામ 26 લોકસભા બેઠકો પર એક જ દિવસે મતદાન યોજાશે, પરંતુ આ પહેલા ભાજપે છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા ક્ષત્રિય સમાજ સાથેના વિવાદનો ઉકેલ લાવી દીધો હોય તેમ ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ મોટુ નિવેદન આપ્યુ છે. ગઇકાલે પાલીતાણામાં સરવૈયા ફાર્મમાં ક્ષત્રિય સમાજની ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની હાજરીમાં એક મહત્વની બેઠક મળી હતી, જેમાં તમામ વિવાદોનો અંત આવ્યો હતો. 


ગુજરાતમાં પ્રચાર પડઘમ શાંત થઇ ચૂક્યા છે, 7મી મેએ મતદાન થાય તે પહેલા ભાજપે ક્ષત્રિય સમાજ સાથે વાતચીત કરીને વિરોધને શાંત કરી દીધો છે. તાજા અપડેટ પ્રમાણે, ગઇકાલે પાલીતાણાના સરવૈયા ફાર્મમાં ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની અધ્યક્ષતામાં ક્ષત્રિય સમાજની એક મોટી બેઠક મળી હતી. જેમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ સ્પષ્ટતા કરી હતી કે, હવે ક્ષત્રિય સમાજમાં રોષ રહ્યો નથી, અને ભાજપની સાથે છે. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ બેઠકમાં જણાવ્યું કે, ક્ષત્રિય સમાજની લાગણી દુભાય તેનાથી મને પણ દુઃખ થાય છે. પરંતુ હવે હવે તલવાર ઉપાડવાની જરૂર નથી રહી. ક્ષત્રિય સમાજના મતો ભાજપની સાથે છે, મતદાનના દિવસે બટન બદાવી ભાજપને જીતાડવાની જરૂર છે. સરકારને સહયોગ કરવા બધા સમાજને વિનંતી છે. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ વધુમાં જણાવ્યુ કે, છેલ્લા સાત ટર્મથી અમને બધા જ સમાજનો ટેકો મળી રહ્યો છે. રાષ્ટ્ર ભાવના સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના મતો ભાજપની સાથે છે. સમાજના આગેવાનો સાથે સમાધાન માટે બેઠક મળી હતી, પરંતુ કોંગ્રેસે સમાધાન ના થવા દીધુ. હવે ક્ષત્રિય સમાજ ભાજપની સાથે છે. 


ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ બેઠકમાં જણાવ્યું કે, ક્ષત્રિય સમાજે જે પ્રમાણે બલિદાન આપ્યું છે, એજ વિચાર સાથે આજે નરેદ્ર મોદી ચાલી રહ્યાં છે, સમાજ ભાજપની સાથે રહેશે. સમાજના દરેક આગેવનો આવ્યા હતા, રાષ્ટ્રીય પ્રેમ ભાવના સાથે આવ્યા હતા અને વધુમાં વધુ ભાજપને મત મળે એ પ્રમાણે કામ કરશે. એક શબ્દ બોલવાની ભૂલથી મને પણ દુઃખ છે અને જેના માટે સમાજ માટે સમાધાનની બેઠક મળી હતી, પરંતુ કોંગ્રેસએ સમાધાન થવા દીધું નહીં. પરંતુ હાલ જે પ્રમાણે સમાજનાં લોકોની બેઠક મળી છે એમાં પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.