રાજકોટ: રાજકોટ બસ સ્ટેશન પોલીસ ચોકીમાં PSIની સર્વિસ રિવોલ્વરમાંથી મિસ ફાયર થતાં રાહદારી યુવકનું મોત થયું હોવાના સમાચાર મળ્યા છે. આ ઘટનામાં જે રાહદારીનું મોત થયું છે, તેમનું નામ હિમાંશુ દિનેશભાઈ ગોહેલ હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં, તેઓ રાજકોટમાં પોલીસ ચોકીમાં ક્રિકેટની ટિકીટ આપવા આવ્યા હતા. આ સમયે પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઇ પી.પી. ચાવડા રિવોલ્વર સાફ કરી રહ્યા હતા અને મિસ ફાયર થતા ગોળી હિમાંશુભાઈને વાગી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાને પગલે લોકો ભેગા થઈ ગયા હતા. પોલીસે મૃતદેહ પીએમ માટે હોસ્પિટલ ખસેડી રિવોલ્વર કબ્જે કરી છે.


નોંધનીય છે કે, આગામી 17 જાન્યુઆરીના રોજ ખંઢેરી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન ડે મેચ રમાવાની છે. આ મેચની ટિકીટ આપવા માટે હિમાંશુભાઇ બસ સ્ટેન્ડ પોલીસ ચોકી આવ્યા હતા. આ સમયે મિસ ફાયરમાં તેમનું મોત નીપજ્યું છે. ઘટનાને લઇ ક્રાઇમ બ્રાન્ચ, ડીસીપી, એસીપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હિમાંશુભાઇ રાજકોટમાં અંકુર મેઇન રોડ પર આવેલી વૃંદાવન સોસાયટી-2માં રહેતા હતા.