રાજકોટઃ શહેરમાં ફરી એક વખત સંબંધોનું ખૂન થયું છે. પતિએ પત્નીની મિલકત તેનો પ્રેમી ઓળવી ના લે તે માટે પોતાના પિતરાઈ ભાઈ - ભાભી સહિત 3 વ્યક્તિઓ સાથે મળીને પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારે સમગ્ર મામલે રાજકોટના આજીડેમ પોલીસ દ્વારા હત્યારા પતિ સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે.


ગત 30મી નવેમ્બરના રોજ માંડા ડુંગરની સુંદરમ પાર્ક સોસાયટીની શેરી નંબર 3ના એક મકાનમાંથી દુર્ગંધ આવતી હોવાની જાણ સોસાયટી ના રહેવાસીઓએ આજીડેમ પોલીસ તથા પોલીસ કંટ્રોલ રૂમ ખાતે કરી હતી. જે બાદ ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસને એક મહિલાની ગળાફાંસો ખાધેલ હાલતમાં લાશ મળી હતી પરંતુ ઘટનાસ્થળનું નિરીક્ષણ કરતા શરૂઆતથી જ બનાવ ગુનાહિત હોવાની શંકા ગઈ હતી.

તસવીરઃ રાજકોટના આજીડેમ પોલીસ દ્વારા હત્યારા પતિ સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે.

મરણ જનાર ભારતીબેન તથા તેના પતિના લગ્ન આશરે 15 વર્ષ પહેલા થયા હતા. બંનેના લગ્ન જીવન દરમિયાન સંતાનમાં ચાર દીકરીઓ થવા પામી છે. જે પૈકી એક દીકરીના લગ્ન થઈ ચૂક્યા છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી પતિ-પત્ની વચ્ચે ગૃહ કલેશ ના કારણે રાગ-દ્વેષ થવા પામ્યો હતો જે દરમિયાન ભૂતકાળમાં ચુનારાવાડ ખાતે મરણ જનાર ભારતીબેન તેના પાડોશી પ્રવીણભાઈ મેણીયા સાથે પ્રેમ સંબંધમાં હતા. બંને વચ્ચે પ્રેમ સંબંધ હતા. ભારતીબેન તેના પતિને છોડી છેલ્લા દોઢ મહિનાથી તેના પ્રેમી પ્રવીણભાઈ સાથે મૈત્રી કરાર કરી રહેવા લાગ્યા હતા. તે દરમિયાન અવારનવાર તે પોતાની માલિકીના સુંદરમ પાર્ક ખાતે ના મકાન ખાતે રહેવા માટે જતા અને ત્યાં કેટલાક દિવસ રોકાયા પણ હતા. ત્યારે ભારતીબેન ના નામે રહેલ સુંદરમ પાર્ક ખાતે આવેલા મકાનો તથા અન્ય મિલકત મેળવવા માટે હત્યાનું કાવતરું રચવામાં આવ્યું હતું. આ હત્યાના કાવતરામાં ખુદ ભારતીબેનનો પતિ આનંદ સાકરીયા તેનો પિત્રાઇ ભાઇ સંજય તેમજ પિતરાઈ ભાઈ સંજયની પત્ની વર્ષા પણ સામેલ હતી.

કાવતરા ને અંજામ આપવા સંજય તેની પત્ની તેમજ મુખ્ય આરોપીની 16વર્ષ ની દીકરી ને લઈ રાજકોટ પરત ફર્યા હતાં. ત્યારે 25 તારીખના રોજ રાત્રિના નવ વાગ્યા આસપાસ પૂર્વ આયોજિત રીતે આવી પહોંચેલા સંજયે આરોપી ધવલ મુકેશભાઈ પરમાર સાથે મળીને કોઈ બહાના હેઠળ મૃતકના ઘરે પહોંચી તેણીને ગળાફાંસો આપી તેની હત્યા કરી હતી. બાદમાં તેની લાશને મારી સાથે લટકાવી દેવામાં આવી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓએ હત્યાનું કાવતરૂં રચનાર મુખ્ય આરોપી આનંદ સાકરીયા ને કામ થઈ ગયાની જાણ કરી હતી અને ત્યારબાદ તેઓ બધા દીવ પરત ફરવા ગયા હતા. દીવ થી રાજકોટ પરત ફર્યા બાદ આરોપી આનંદે ભારતી ની લાશ ને સગેવગે કરવા માટે માંડા ડુંગર પાસે આટા ફેરા માર્યા હતા. પરંતુ તેમાં તેને સફળતા મળી નહોતી.