મોરબીઃ મોરબીના લખધીરપૂર ગામે યુવતીના લગ્ન દરમિયાન તેની બહેનનું મોત થઈ જતાં લગ્ન માતમમાં ફેરવાઈ ગયા હતા. 21 વર્ષીય યુવતીને બહેનના લગ્ન સમયે જ હાર્ટ એટેક આવી જતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હેતલબેન જગદીશભાઈ પરમારનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. 


હેતલબેનના મોટા બેનના રાત્રિના લગ્ન હોય અને મોટા બેન ફેરા ફરતા હતા. દરમિયાન હેતલબેનને હાર્ટ એટેક આવ્યો હતો. હેતલબેનના મમ્મીનું આશરે 8 મહિના પહેલા કોરોના મૃત્યુ થયું હતું, તેના આઘાતના કારણે હેતલબેનને લાગી આવતા હાર્ટ એટેક આવ્યો હોવાનું તેમના સગા પાસેથી જાણવા મળ્યું છે. 


છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો હતો.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 36 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 44  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,770 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી.   આજે 4,10,463 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદમાં 1, અમદાવાદ કોર્પોરેશનમાં 8, ગાંધીનગર  કોર્પોરેશનમાં 1, જામનગર 2, જામનગર કોર્પોરેશન 1, કચ્છ 2, મહેસાણા 1, નર્મદા 1, રાજકોટ કોર્પોરેશન 2,  સાબરકાંઠા 2, સુરત કોર્પોરેશન 4, વડોદરા કોર્પોરેશન 7  અને  વલસાડમાં 4  કોરોનાના  કેસ નોંધાયા છે.  


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 323  કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે, જ્યારે 319 નાગરિકો સ્ટેબલ છે. 8,16,770  નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10091 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. 


બીજી તરફ રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 6 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 2212 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 11808 નાગરિકોને રસીનો પ્રથમ અને 95610 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 35728 નાગરિકોને રસીનો પ્રથમ અને 265099 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 4,10,463 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 7,69,79,814 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ,  ભાવનગર, ભાવનગર કોર્પોરેશન,  બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્ધારકા, ગાંધીનગર,  ગીર સોમનાથ,   જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન,  ખેડા, મહીસાગર, મોરબી, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગર, તાપી અને વડોદરામાં  એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.