મોરબીઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્ણ થતાં ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે. ભાજપના નેતા જીતુ સોમાણીએ રાજકોટના ભાજપના સાંસદ મોહન કુંડારિયા અને જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા પર મોટા આક્ષેપો લગાવ્યા છે. મોહન કુંડારિયા વારંવાર રાગદ્વેષ અને કિન્નાખોરી રાખી મારી રાજકીય કારકિર્દી ખતમ કરવાના પ્રયાસો કરી રહ્યા છે.


તેમણે એવો પણ આક્ષેપ લગાવ્યો છે કે, મારા કારણે જીલ્લા ભાજપ પ્રમુખ લોહાણા સમાજને ખત્મ કરવાના પ્રત્યનો કરી રહ્યા છે. મોરબી જીલ્લામાં મોહન કુંડારિયા પોતાનો રાજકીય પ્રભાવ વધારવા એન-કેન પ્રકારે ભાજપના કાર્યકરોને દબાવીને ધમકાવીને પોતાના દબાણમાં રાખવાના કાર્ય કરી રહ્યા છે.

વાંકાનેર શહેર ભાજપ પ્રમુખને જીલ્લા પ્રમુખે આપેલ નોટીસને મામલે ભાજપ અગ્રણી જીતુ સોમાણીએ જીલ્લા ભાજપ પ્રમુખને પત્ર લખ્યો છે, જેમાં આ આક્ષેપો કરાયા છે. ભાજપ પાર્ટી દ્વારા ડમી ઉમેદવાર માટે કોઈ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી નથી. ભાજપ પાર્ટીની ગાઈડલાઈનની સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ઉલ્લધન થયું છે.

તેમણે પત્રમાં લખ્યું છે કે, માળિયા નગરપાલિકામાં ઉભા રાખવામાં આવેલ ૪ ઉમેદવાર ૬૦ વર્ષથી વધુ ઉમરના છે, જેથી એ જીલ્લા ભાજપની બેદરકારી હોવાનો આક્ષેપ કર્યો છે. તો વાંકાનેર શહેરની ચુંટણીમાં સંકલન કરવામાં આવ્યું નથી.