રાજકોટ: ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસો વધવા લાગતાં સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું છે. સુરત પછી રાજકોટ કોર્પોરેશન પણ કોરોનાના કેસો વધતાં હરકતમાં આવ્યું છે તેમજ નવરાત્રિમાં ગરબા રમવા મુદ્દે નવો આદેશ જારી કરવામાં આવ્યો છે. રાજકોટ  મનપા કમિશનરે આદેશ કર્યો છે. રાજકોટમાં જ્યાં કોરોના પોઝિટિવ કેસ આવશે એ વિસ્તાર કન્ટેનટમેન્ટ ઝોન જાહેર કરવામા આવશે તેમજ ત્યાં શેરી ગરબા ને મન્જુરી નહિ મળે. નોંધનીય છે કે, આ પ્રકારનો આદેશ સુરત કોર્પોરેશન દ્વારા પણ જાહેર કરવામાં આવ્યો છે. 


રાજ્યમાં સુરત અને અમદાવાદમાં ફરીથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે સુરતમાં કોરોનાના વધી રહેલા કેસોને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે. સુરતમાં કન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તારમાં ગરબા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ નિયમને કારણે 6426 લોકો નવરાત્રિની ઉજવણી નહીં કરી શકે. જ્યારે સુરતમાં અત્યારે સૌથી 47 એક્ટિવ કેસ છે. આ પછી અમદાવાદમાં 40 એક્ટિવ કેસ છે. તો વલસાડમાં 33 અને વડોદરામાં 25 એક્ટિવ કેસ છે. 


સુરત શહેરમાં હાલ 69 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર થયેલા છે. નવરાત્રિમાં પહેલા કોરોનાના વધતા કેસો પાલિકા માટે પડકાર છે.  ભરથાણામાં એક જ પરિવારના 2 બાળકો સહિત 6 પોઝિટિવ છે. રાંદેરમાં પણ માતા-પિતા અને પુત્રને ચેપ છે. બાળકોમાં કોરોના સંક્રમણનો રેશિયો 15 ટકા સુધી પહોંચી ગયો. રાંદેરમાં મહિનામાં જ 40માંથી 8 બાળકો સંક્રમિત થયા છે. ​​​​​​​તહેવાર ટાણે​​​​​​​ સોસાયટીમાં ભેગા થયાં હોવાની હિસ્ટ્રી સામે આવી છે. 


ગુજરાતમાં ગઈ કાલે કોરોનાના નવા 23 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 14 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,740 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણથી એકપણ વ્યક્તિનું મોત થયું નથી. આજે  62,842 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 



જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 180  કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે, જ્યારે 176 નાગરિકો સ્ટેબલ છે. 8,15,740 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. સુરત કોર્પોરેશનમાં  8, અમદાવાદ  કોર્પોરેશનમાં 6, સુરત 3, વલસાડ 3, ખેડા 1, નવસારી 1 અને વડોદરા કોર્પોરેશનમાં  1  કોરોના વાયરસનો કેસ નોંધાયો છે. 


રાજ્યમાં રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી  3  કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 459 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 8824 નાગરિકોને  રસીનો પ્રથમ અને 7797  નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના  24741  નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 21018 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 62,842  કુલ રસીના ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં 6,14,44,354 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.


અમદાવાદ,  અમરેલી, આણંદ, અરવલ્લી,  બનાસકાંઠા, ભરુચ,  ભાવનગર, ભાવનગર  કોર્પોરેશન,  બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ,  દેવભૂમિ દ્વારકા,  ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન,  ગીર સોમનાથ, જામનગર,  જામનગર કોર્પોરેશન, જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન,   કચ્છ,   મહીસાગર, મહેસાણા,  મોરબી, નર્મદા,    પંચમહાલ, પાટણ,  પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન,    સાબરકાંઠા,  સુરેન્દ્રનગર, તાપી  અને વડોદરામાં એક પણ કોરોના વાયરસનો નવો કેસ નથી નોંધાયો.